Sunday, July 26, 2026

કચ્છના મીની તરણેતર જખ્ખ બૌંતેરા ભાતીગળ મેળાનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાયો શુભારંભ

Advertisement
Advertisement
Advertisement

કચ્છના મીની તરણેતર જખ્ખ બૌંતેરા ભાતીગળ મેળાનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાયો શુભારંભ
૦૦૦૦
ગ્રામ પંચાયતના સહયોગથી યોજાયેલા મેળાને પંચાયતોના સશક્તિકરણનું જવલંત ઉદાહરણ ગણાવતા મુખ્યમંત્રીશ્રી
૦૦૦૦
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છની લોક સંસ્કૃતિ અને પ્રવાસનનો સર્વગ્રાહી વિકાસ કરીને તેને વાસ્તવિક બનાવ્યો છે : મુખ્યમંત્રીશ્રી
૦૦૦૦
કચ્છ પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું છે : મુખ્યમંત્રીશ્રી
૦૦૦૦૦
‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના મંત્રને સાર્થક કરીને સ્વચ્છતાના જન આંદોલનમાં જોડાવવા મુખ્યમંત્રીશ્રીનું આહ્વાન
૦૦૦૦
ભાતીગળ લોકમેળાઓ સ્થાનિક રોજગારીની વૃદ્ધિ અને ગ્રામીણ અર્થતંત્રની આત્મનિર્ભરતાનું પ્રતીક બન્યા છે : મુખ્યમંત્રીશ્રી
૦૦૦૦
ભાતીગળ લોકમેળાઓ કચ્છના લોકોના હદયમાં આગવું સ્થાન ધરાવે છે : સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા
૦૦૦૦
વડાપ્રધાનશ્રી આગેવાનીમાં રાજ્ય સરકાર કચ્છના પ્રવાસન સ્થળોના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ : અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા
૦૦૦૦૦
કચ્છના સૌથી મોટા સાયંરા યક્ષના ભાતીગળ લોક મેળાને માણવા જનમેદની ઉમટી
૦૦૦૦

ભુજ,સોમવાર:

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયંરા(યક્ષ) ખાતે સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરા ક્કડભીટના ભાતીગળ મેળાનો આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધિવત શુભારંભ કરાવ્યો હતો.

૧૨૮૨મી વખત યોજાઈ રહેલા આ ભવ્ય મેળાનો પ્રથમવાર મુખ્યમંત્રીશ્રીના હસ્તે શુભારંભ થયો‌ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રીબીન કાપીને લોકમેળાનો શુભારંભ કરાવ્યો‌ હતો. પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા ગાંધીજીને યાદ કરીને તેમને વંદન કર્યા હતા.

મેળાને માણવા પધારેલી જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીશ્રી જણાવ્યું કે,
વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છને પ્રવાસનનું તોરણ બનાવી
વર્લ્ડ ટૂરિઝમ મેપ ઉપર કચ્છનો રણોત્સવ અને કચ્છની લોક સંસ્કૃતિ, વિવિધ સ્થળોનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે. આથી જ કહેવાય છે – કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વધુમાં ઉમેર્યું કે, યક્ષનો મેળો, માતાનો મઢ, હાજીપીર, કોટેશ્વર, રવેચી, જેસલ-તોરલ સમાધિ, નારાયણ સરોવર અને લખપત ગુરુદ્વારા જેવા ધાર્મિક-ઐતિહાસિક સ્થાનકો કચ્છની આગવી લોક સંસ્કૃતિના ધબકાર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ આફતને અવસરમાં પલટવા લોકોમાં કેળવેલી ક્ષમતા અને કચ્છીઓના ખમીર-ઝમીરથી આજે કચ્છ પૂરપાટ ગતિએ વિકાસ કરી રહ્યું છે.
કચ્છના લોકોએ ભૂકંપની વેદનામાંથી ફરી બેઠા થવા સાથે ઉત્સવો, મેળાઓની ઉજવણીથી જનજીવનને ધબકતું કર્યું છે. આ લોકપ્રિય યક્ષ મેળોનો શુભારંભ કરાવવાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ મુખ્યમંત્રીશ્રીએ જાહેર આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ નાની ગ્રામ પંચાયતના સહયોગથી યોજાયેલા મોટા યક્ષના ભવ્યમેળાને ગ્રામ પંચાયતોના સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ ગણાવતા ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને રણોત્સવથી વિકસાવવાનો અવસર સર્જીને કચ્છના સર્વગ્રાહી વિકાસને વાસ્તવિક બનાવ્યો છે. છેવાડાના અંતરિયાળ ગામો, સરહદી વિસ્તારો સુધી વિકાસ પહોંચાડી ગામડાઓનું સશક્તિકરણ કરતા ગ્રામ સ્વરાજનો વિચાર સાકાર કર્યો છે. મુખ્યમંત્રીશ્રી આ પ્રસંગે મેળાના આયોજનમાં કોઈપણ પ્રકારની પડતી મુશ્કેલીના ઉકેલમાં રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે તેમ ધરપત આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છ જે માત્ર રણપ્રદેશ તરીકે ઓળખાતું હતું ત્યાં આજે ૩૦ હજાર મેગાવૉટના હાઇબ્રિડ એનર્જી પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. કચ્છમાં આજે અનેક મોટા ઉદ્યોગો ધમધમતા થયાં છે. ડેરી ઉદ્યોગ થકી કચ્છમાં પશુપાલનને નવી ઊંચાઈ મળી છે. ઊંટડીના દૂધમાંથી બનતી ડેરી પ્રોડક્ટ દેશભરમાં પહોંચી છે.

કચ્છના લોકોત્સવો, તહેવારો, મેળાઓ માણવા આવતા પ્રવાસીઓ સ્મૃતિવન સ્મારકની મુલાકાતે અવશ્ય જાય તેવું સ્મારક વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી બન્યું છે. જેના થકી કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, કચ્છ આજે પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે દેશભરમાં આત્મનિર્ભર બન્યું છે. પારંપારિક ઐતિહાસિક યક્ષનો લોકમેળો પણ વિવિધ કલાકૃતિ, રમકડાં, ખાન-પાન, મનોરંજનના સાધનોના માધ્યમથી સ્થાનિક રોજગારી વૃદ્ધિ અને ગ્રામીણ અર્થતંત્રની આત્મનિર્ભરતાનું પ્રતિક બન્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સ્વચ્છતાના જન આંદોલનમાં સહભાગી થઈને સફળ બનાવવા ઉપસ્થિત નાગરિકોને અપીલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ મેળો માણવા આવનારા નાગરિકોને આ લોક મેળાની અને આસ્થાના પવિત્ર સ્થાનકની સ્વચ્છતા જાળવીને ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો મંત્ર સાકાર કરવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિવિધ સંસ્થા તેમજ મેળા સમિતિના સભ્યો તેમજ વિવિધ સમાજ આગેવાનો દ્વારા સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મેળામાં આવેલા કચ્છના લોકો સાથે સહજ રીતે વ્યક્તિગત સંવાદ કરીને તેમના હાલચાલ પૂછ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરતાં કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા બારસો વર્ષની પરંપરા અનુસાર યક્ષના મેળાનું આયોજન કરવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રીને કચ્છની ધીંગી ધરા પર સ્વાગત કરીને સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે, આ લોકમેળો કચ્છના લોકોના હદયમાં એક આગવું સ્થાન ધરાવે છે. પવિત્ર યાત્રાધામના અંતગર્ત આ પાવન ધરાના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું સાંસદશ્રીએ જણાવ્યું હતું.

અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ આભારવિધિ કરતા આનંદની લાગણી સાથે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી યક્ષના મેળાના શુભારંભ માટે પધાર્યા તે કચ્છ માટે અનેરો પ્રસંગ છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિઝનમાં કચ્છ પ્રવાસનના હબ તરીકે વિકસી આવ્યું છે. વડાપ્રધાનશ્રી આગેવાનીમાં રાજ્ય સરકાર કચ્છના પ્રવાસન સ્થળોનો વિકાસ કરી રહી છે તેમ જણાવીને ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, શ્રી માલતીબેન મહેશ્વરી, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી ત્રિકમભાઈ છાંગા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવનાબેન પટેલ , મેળા સમિતિ અધ્યક્ષ શ્રી ધીરુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાન ગઢવી, પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહીર, પૂર્વ ધારાસભ્ય સર્વ શ્રી રમેશભાઈ મહેશ્વરી, શ્રી પંકજભાઈ મહેતા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારા , આગેવાન શ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી ધવલભાઈ આચાર્ય તેમજ જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા, પ્રાંત અધિકારી શ્રી ડૉ. મેહુલ બરાસરા તેમજ આગેવાનશ્રીઓ , અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જિજ્ઞા વરસાણી
૦૦૦૦૦

Related Articles

Total Website visit

1,623,924

TRENDING NOW