મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોના આત્માના શાંતિ અર્થે મોરબી ખાતે પરમ પૂજ્ય મોરારીબાપુની કથાના આયોજન બાબતે મિટિંગ યોજાઈ.

મોરબીના આંગણે આગામી ૩૦ સપ્ટેમ્બરથી તા. ૦૯ ઓક્ટોબર સુધી પૂજ્ય મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવનાર છે જેની તૈયારીઓ અંગે તલગાજરડા ખાતે પૂજ્ય મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં કબીરધામ મોરબીના પૂજ્ય મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ શ્રી શિવરામ સાહેબ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા જે કથાના મુખ્ય યજમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિનુભાઈ રૂપાલા, ગણેશભાઈ ડાભી અને વિજયભાઈ લોખીલ ઉપસ્થિત રહ્યા હતા

૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ મોરબીનો એતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પુ.મોરારી બાપુએ મોરબીને કથા આપવા માટેની જાહેરાત કરી હતી જે જાહેરાતને પગલે સાંસદ મોહનભાઈ કુડારીયા દ્વારા આ કથા ભવ્યાતિભવ્ય થાય અને ગરીમાપૂર્ણ રીતે થાય, એ હેતુથી કબીરધામ મોરબીના મહામંડલેશ્વર શ્રી શિવરામ સાહેબના માર્ગ દર્શન હેઠળ વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર કથાના આયોજનની ઝીંણવટ ભરેલી નોંધ સાથે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે જેમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાની સાથે ટંકારા પડઘરી વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સહકારી ક્ષેત્રના મગનભાઈ વડાવિયા, ઉદ્યોગપતિ અને બિલ્ડર વિનુભાઈ રૂપાલા તથા ગણેશભાઈ ડાભી સહિતના આગેવાનોના સહિયારા સામુહિક પ્રયાસો દ્વારા કરવા નિર્ધાર કરવામાં આવ્યો છે અને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે
મોરારી બાપુએ જણાવ્યું હતું કે “આઝાદી કા અમૃત મહોત્સવ” જ્યારે ભારત વર્ષમાં મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આપણે પણ આ અમૃત મહોત્સવ અંગે કાર્યક્રમ કરીશું. અને આ અમૃત મહોત્સવને આપણી કથાની અંદર આવરી લેવામાં આવશે. ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકો માટે “શ્રદ્ધાંજલિ” મુખ્ય વિષય રહેશે અને આ શ્રદ્ધાંજલિ કથામાં મૃતકોના મોક્ષાર્થે વિશેષ પ્રકારે “પાંચ પ્રકારના મહા યજ્ઞો” સમગ્ર કથા દરમિયાન નવ દિવસ સુધી અવિરત ચાલુ રહેશે. જેમા ગાયોને દરરોજ નીરણ નાખવામાં આવશે. અને સારી રીતે આ યજ્ઞ અવિરત ચાલતો રહે માટે સ્વયંસેવકોને આ અંગેની જવાબદારીઓ સોંપવામાં આવશે. તદુપરાંત કથા દરમિયાન કીડીને કીડીયાળુ, પક્ષીઓને ચણ, કૂતરાઓને રોટલા અને માણસોને ભોજન વગેરે સહીતના અખંડ યજ્ઞો, આ કથા દરમિયાન નવ દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે.
નવ દિવસ સુધી ભોજન પ્રસાદ વ્યવસ્થા કથા સ્થળે કરવામાં આવશે. ગુજરાતની તમામ દેહણ જગ્યાના સંતો આ નવ દિવસ કથામાં ઉપસ્થિત રહેશે. આ કથાનું સ્થળ કબીરધામ, વાવડી રોડ, મોરબી રહેશે. પૂજ્ય મહામંડલેશ્વર શ્રી શિવરામદાસજી સાહેબની પ્રેરક અને આશીર્વાદક નિશ્રામાં આ ભવ્ય આયોજન થશે.





