આરોગ્ય ક્ષેત્રે પડદા પાછળના હીરો એટલે ફાર્માસિસ્ટ પ્રત્યે આભાર પ્રકટ કરવાનો દિવસ
રેસકોર્સ ખાતે ફાર્મસી સંસ્થાઓના વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ અને ફાર્મસીસ્ટ નાગરિકોને દવાઓ વિશે સાચી જાણકારી આપી આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવશે
તંદુરસ્ત શરીર એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. કોઈપણ બીમારીનું નિદાન તબીબ કરે છે, પરંતુ ફાર્માસિસ્ટ નિદાન પ્રમાણે સાચી દવા, જરૂરી માત્રામાં અને સાચા સમયે માર્ગદર્શન આપે છે. જે ખૂબ મહત્વપૂર્ણ છે.
જીવનમાં આરોગ્ય ક્ષેત્રે પડદા પાછળના હીરો એટલે ફાર્માસિસ્ટ એવું કહી શકાય. ફાર્માસિસ્ટ દવા સંબંધિત દરેક વસ્તુઓમાં નિષ્ણાત હોય છે. તેઓ નવા રોગોની ઓળખ કરીને દર્દીઓને એન્ટીબાયોટીક દવાઓના ઉપયોગ વિષે યોગ્ય સલાહ અને માહીતી પણ આપે છે. તબીબી ક્ષેત્રે ફાર્માસિસ્ટનું મૂલ્યવાન યોગદાન રહેલું છે. સરળ શબ્દોમાં કહીએ તો, ફાર્માસિસ્ટ દર્દીની સંભાળ લેવાની સાથે મેડિકલ ટીમના પણ સભ્ય છે.
૨૫ સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમા ‘‘વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે’’ ઉજવવામા આવે છે. આ દિવસે વિશ્વના તમામ દેશોમાં આરોગ્યલક્ષી કામગીરીમાં ફાર્માસિસ્ટની ભૂમિકાને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશન ૨૫ સપ્ટેમ્બર ૧૯૧૨ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારથી વિશ્વભરમાં ૨૫ સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસની ઉજવણી રાજકોટ ફાર્માસીસ્ટ એસોસીએશન દ્વારા શહેરના રેસકોર્સ ખાતે વિવિધ ફાર્મસી સંસ્થાઓએ તેમના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો તથા ફાર્મસીસ્ટસ્ દ્વારા સ્ટોલ ઉભા કરી હેલ્થ અવેરનેસ કેમ્પ, વ્યસન મુક્તિ કેમ્પ અને હેલ્થ અવેરનેસ રેલીનું આયોજન કરી ઉત્સાહભેર ઉજવણી કરાશે.
રાજકોટ ફાર્માસીસ્ટ એસોસિએશન દ્વારા વજન,ઉંચાઈ,અને બોડી માસ ઇન્ડેક્સ (બી.એમ.આઈ.)મેજરમેન્ટ કરી આપવામાં આવશે.ધ ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ ફાર્માસિસ્ટ એસોસિયેશન અને ડિસ્ટ્રિક્ટ એન.સી.ડી. સેલ રાજકોટ દ્વારા વિના મૂલ્યે ડાયાબિટીસ (R.B.S.) અને બી.પી.નું ચેક-અપ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા પાણીજન્ય અને ચેપી રોગો વિષયક માહિતી, બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સી.પી.આર. અંગેનો ડેમોન્સ્ટ્રેશન,સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ફાર્મસી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ડેન્ગ્યુ અને ચિકુનગુનીયા રોગ અંગે માહિતી,આર.ડી.ગારડી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ડાયાબિટીસ રોગ અંગે વિસ્તૃત માહિતી,સ્કુલ ઓફ ફાર્મસી,આર.કે.યુનિવર્સીટી દ્વારા દર્દીઓ માટે જનરલ હેલ્થ ચેક-અપ કેમ્પ અને ડાયટીશ્યન દ્વારા પૌષ્ટિક ખોરાક વિશેની માહિતી,મારવાડી યુનિવર્સિટીના ફાર્મસી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓ વિશે માહિતી,આત્મીય કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા લોકોને પોતાની રીતે મેડીકલ સ્ટોરમાંથી દવા લેતા ગેરફાયદાઓ અંગે માહિતી આપવામા આવશે અને સોસાયટીમાં ફાર્માસીસ્ટની ભુમિકા વિશે લોકોને જાગૃત કરવામાં આવશે.
આપણા આયુર્વેદ ગ્રંથોમાં તુલસીને ઔષધીરૂપે અગ્રસ્થાને માનવામાં આવે છે, જેથી રાજકોટ શહેરના તમામ ઘરોમાં તુલસીના રોપા પહોંચે તે હેતુથી કુમ-કુમ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવશે.
ત્યારે‘‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’’ નિમિત્તે એટલી અપેક્ષા તો જરૂર રહે કે લોકોના સારા સ્વાસ્થ્ય માટે કામગીરી કરનારા આ પડદા પાછળના હીરો ફાર્માસીસ્ટને ‘‘થેંક્યું’’ કહેવાનું ભુલશો નહિ.