મોરબી : દર વર્ષે 21 જૂન ના રોજ દુનિયાભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં યોગને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. માનવજીવન માટે યોગ એ સંજીવની જડીબુટ્ટી સમાન છે. યોગ શરીરને સ્વસ્થ રાખે છે ત્યારે ભારતની આ યોગની સંસ્કૃતિને વિશ્વભર દ્વારા આવકારવામાં આવી છે.
આજરોજ મોરબીમાં પણ વહીવટી તંત્ર દ્વારા તેમજ અલગ-અલગ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવવામાં આવતા “માનવતા માટે યોગ” કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ અન્ય પદાધિકારીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં યોગ સાધકો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજર રહ્યા હતા. “માનવતા માટે યોગ” કાર્યક્રમમાં દરેક વયના યોગ સાધકો તેમજ યોગથી પ્રેરણા મેળવે યુવકો અને અન્ય લોકો જોડાયા હતા તેમજ યોગને જીવન શૈલીનો એક ભાગ બનાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.







