હળવદ : હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર કેમ એન્ડ ફુડ સોલ્ટ નામના કારખાનામાં બુધવારે બપોરે દીવાલ પડતા 12 માનવજીંદગી મોતના મુખમાં ધકેલાય ગઈ હતી જેથી આ દુર્ઘટના મામલે કારખાનાના ભાગીદારો, મહેતાજી, સુપરવાઈઝર સહીત આઠ ઈસમો તેમજ તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ હળવદ પોલીસે ગુન્હો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર કેમ એન્ડ ફુડ સોલ્ટ ફેકટરીમાં ગત તા. 18 ને બુધવારે બપોરના સમયે દીવાલ ધસી પડતા 12 શ્રમિકોના મૃત્યુ મામલે મૂળ કચ્છના રાપર તાલુકાના સવાઈ ગામના અને હાલ હળવદ ખાતે રહેતા રાજેશ ઉર્ફે લખું રમેશભાઈ પીરાણાની ફરિયાદને આધારે પોલીસે કારખાનાના ભાગીદાર અફઝલભાઇ અલારખાભાઇ ઘોણીયા, રાજેશકુમાર મહેંદ્રકુમાર જૈન, કિશનરામ લાલારામ ચૌધરી, દેવો ઉર્ફે વારીસ અલારખાભાઇ ઘોણીયા, આત્મારામ કિશનરામ ચૌધરી, સુપરવાઇઝર એકાઉન્ટન્ટ એવા સંજયભાઈ ચુનીલાલ ખત્રી, મનોજભાઇ રેવાભાઈ સનુરા, આસીફભાઈ નુરાભાઈ તથા તપાસમાં જે ખુલે તે વ્યક્તિઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે. આ ગંભીર બનાવ મામલે પોલીસે રાજેશ રમેશભાઈ પીરાણાની ફરિયાદને આધારે કારખાનાના માલીક, સંચાલકો, સુપરવાઇઝર તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધમાં જાણી જોઈને માનવ જીંદગી જોખમાઈ તે રીતે બેદરકારી, નિષ્કાળજી રાખવા ઉપરાંત બાળશ્રમિકોને કામે રાખવા મામલે આઈપીસી કલમ 304, 308, 114 તથા બાળ અને તરુણ કામદાર પ્રતિબંધની કલમ 33 તેમજ 14 મુજબ ગુન્હો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.