સંત ભક્તિપ્રિય સ્વામી તથા સૌરાષ્ટ્રભરના વડીલ સંતોની પ્રેરક ઉપસ્થિતિ
મોરબી : સ્વામીનારાયણ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અને પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી મોરબીની મચ્છુ નદીના સુંદર તટે આવનારા દિવસોમાં ભવ્યાતિભવ્ય શિખરબદ્ધ મંદિર નિર્માણ પામશે ત્યારે મંદિર ખાતે સંસ્થાના વરિષ્ઠ સંત ભક્તિપ્રિય સ્વામીની સંનિધિ સાથે સૌરાષ્ટ્રના વિવિધ પ્રાંતના સંતો, હરિભક્તો, ઉદ્યોગપતિ, રાજકીય આગેવાનોની હાજરીમાં પ્રથમ સ્તંભની પૂજન સ્થાપનવિધિ ઉત્સવ યોજાયો હતો.

આ ઉત્સવમાં વહેલી સવારે ૬.૩૦ કલાકે સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં વેદોક્તવિધિ પૂર્વક મહાપૂજાવિધિ યોજાઈ હતી ત્યારબાદ પ્રથમ સ્તંભ પૂજનવિધિ કરવામાં આવી હતી જેમાં ૧૨૦૦ થી અધિક યજમાનો જોડાયા હતા. મંદિરમાં વિશેષ સેવા આપનાર અને ઉત્સવમાં પધારેલા મહાનુભવોને ફૂલહાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉત્સવ માટે મહંતસ્વામી મહારાજે સુરતથી વિડિયો માધ્યમ થકી આશીર્વચન પાઠવ્યા હતા.
આ ઉત્સવમાં સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રો રાજકોટ, જામનગર, ભાવનગર, ભુજ, ગોંડલ, અમરેલી, ગઢડાથી આવેલ કોઠારી સ્વામી, સંતો અને પાર્ષદ પણ જોડાયા હતા. મોરબી મંદિરમાં જેમનું વિશેષ યોગદાન છે એવા ટાન્ઝાનિયા દારેસલામના હરિભક્ત અને મોરબી મંદિરના મુખ્ય યજમાન ચુડાસમા પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉત્સવમાં રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પોતાની ભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે મોરબીના આંગણે સોનાનો સુરજ ઉગ્યો છે સાથે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલ, રેસિડેન્ટ એડિશનલ કલેકટર એન.કે. મૂછાર સહિત અનેક પદાધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
