સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે
મોરબી સત્સંગ સમાજ દ્વારા રવાપર-ધુનડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ 26 એપ્રિલથી 2જી મે દરમિયાન હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ રાત્રે 8:30 થી 11:30 કલાક સુધી વક્તા પદે હરિપ્રકાશદાસજી સ્વામી – અથાણાવાળા (સાળંગપુરધામ) બિરાજીને પોતાની આગવી સંગીતમય શૈલીમાં સુમધુર કથાનું રસપાન કરાવશે.
મોરબી સત્સંગ સમાજ દ્વારા યોજાનાર આ કથાનો પ્રારંભ તા. 26 એપ્રિલને મંગળવારના રોજ રાત્રે 08:30 કલાકે થશે. રાત્રે 9 કલાકે સંતોના તથા કથાના યજમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય થશે. તા. 30 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે અન્નકૂટ ઉત્સવ યોજાશે ત્યારબાદ તા. 30 એપ્રિલના રોજ રાત્રે 10:30 કલાકે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે જેમાં હનુમાનદાદાને 51 કિલોની કેક ધરવામાં આવશે, 108 કિલો પુષ્પવર્ષાથી હનુમાનજી મહારાજ સંતો ભક્તોને વધાવવામાં આવશે, સમગ્ર સભામંડપ ફૂલો અને ફૂગ્ગાથી સજાવવામાં આવશે, અનેક પ્રકારના હનુમાનજી અને વાનર સેનાના દર્શન થશે અને 51 કિલો ચોકલેટ-કેડબરી દાદાને ધરવામાં આવશે. આ ઉપરાંત તા. 28 એપ્રિલને ગુરુવારના રોજ કથા સ્થળે રાત્રે 8:00 થી 10:00 કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે અને તા. 2 મે ના રોજ રાત્રે 11:30 કલાકે કથાની પૂર્ણાહુતિ થશે.
આ હનુમાન ચાલીસા કથાનું લાઈવ પ્રસારણ પણ નીહાળી શકાશે અને આ કથામાં દર્શનીય સંતો, કથાના યજમાનો, સરકારી અધિકારીઓ, રાજકીય મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.




