હત્યા કેસમાં નાસતા ફરતાં આરોપીઓ વિરુદ્ધ કોર્ટ સ્પેશ્યલ કોર્ટનું કલમ ૮૨ અનુસાર જાહેરનામું
મોરબી : ગત તા. ૦૭/૦૯/૨૦૨૧ ના રોજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં મોરબી શનાળા બાયપાસ રોડ, ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગનો બનાવ બન્યો હતો જેમાં ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ થતા મહમદ હનીફભાઈ ઉર્ફે મમુ દાઢી ગુલામભાઈ કાસમાણી (રહે. મોરબી ખાટકીવાસ) નું મોત થયું હતું.
આ કેસમાં આરોપી આરીફ ગુલામ મીર સહીત કુલ ૧૩ આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ-૩૦૨, ૩૦૭, ૩૨૩, ૩૪૧, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦બી, ૩૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫ (૧બી) એ, ૨૭ તથા જી.પી.એ. કલમ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ દરમિયાન ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ ૨૦૧૫ ની કલમ ૩(૧), ૩(૨), ૩(૪) મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે.

આ કેસની તપાસ દરમિયાન કુલ ૧૮ આરોપીઓના નામો ખુલ્યા છે જેમાં કુલ ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને નામદાર કોર્ટના હુકમથી આ ૧૪ આરોપીઓને અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આ હત્યા કેસના આરોપીઓ આરીફ ગુલમામદભાઈ મીર (રહે. કાલીકા પ્લોટ, નર્મદા હોલ પાસે, સાયન્ટીફીક રોડ, મોરબી), મકસુદ ગફુરભાઈ સમા (રહે. મોરબી કાલીકા પ્લોટ, નર્મદા હોલ પાસે, સાયન્ટીફીક રોડ, મોરબી), કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ કુરેશી (રહે. વજેપર, મતવા વાસ, મોરબી) અને હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર (રહે. વજેપર મેઈન રોડ, દરગાહ પાસે, મોરબી) આ કેસમાં નાસતા ફરતા હોયુ નામદાર કોર્ટમાંથી આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબનું વોરંટ મેળવવામાં આવેલ છે તેમ છતાં આ આરોપીઓ પોતાની ઘરપકડ ટાળવા ફરાર થયા છે અથવા વોરંટ પોતાના પર બજે નહીં એટલા માટે સંતાતા ફરે છે.
વધુમાં ઉપરોક્ત ચારેય આરોપીઓને હાજર થવા માટે મે. સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ રાજકોટ દ્વારા સી.આર.પી.સી કલમ ૮૨ મુજબનું જાહેરનામુ પ્રસિધ્ધ કરી આરોપીઓને ફરિયાદનો જવાબ આપવા કોર્ટ સમક્ષ હાજર થવા કલમ ૮૨ અનુસાર જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.