હળવદમાં બે પરિવારો વચ્ચે થયેલ મારામારીમાં સામસામે ફરીયાદ નોંધાઈ
હળવદ શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ કૃષિ શાળા રોડ પાસે બે પરિવાર વચ્ચે જૂની અદાવત બાબતે માથાકૂટ થયેલ હતી જેમાં આ મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલ એક આધેડ નું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો ત્યારબાદ બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ કૃષિ વિદ્યાલય વાળી શેરીમાં રહેતા રતનબેન કાળુભાઈ પરમાર (ઉ.વ.૫૦) એ આરોપી નટુભાઈ નાનજીભાઈ પરમાર, આશિષભાઈ નટુભાઈ પરમાર, રવિ નટુભાઈ પરમાર, દીપક નટુભાઈ પરમાર, હંસાબેન નટુભાઈ પરમાર, લતાબેન શૈલેષભાઈ પરમાર રહે બધા હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી નટુભાઈ ના ભત્રીજા વિશાલ સાથે ફરિયાદીના પરિવારને અગાઉ ઝઘડો થયેલ હોય જેના લીધે આરોપી આશિષને નોકરીમાંથી કાઢી નાખેલ હોય જે બાબતનું મન દુઃખ રાખી આરોપીઓ ગેરકાયદેસર રીતે ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી આરોપીઓએ કુહાડીથી ફરિયાદીના પતિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તથા ધોકા વડે માર મારી અને ફરિયાદીના પતિને ઢસડી બહાર શેરીમાં લાવી લોખંડના પાઇપ વડે ઇજા કરી હોવાથી ફરિયાદીના પતિ કાળુભાઈ મોહનભાઈ પરમાર નું મોત નીપજયું હોય જેથી આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ માલવા સામે જાગનાથ સોસાયટીમાં રહેતા નટવરભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.વ.૪૭)એ આરોપી જયેશ કાળુભાઈ પરમાર કાળુભાઈ મોહનભાઈ પરમાર રતનબેન કાળુભાઈ પરમાર રહે ત્રણેય હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ કોઈ કારણ વગર શેરીમાં છુટા પથ્થરના ઘા કરેલ અને એ કરવાથી કોઈ રાહદારીને માથામાં વાગવાથી તેનું મૃત્યુ નિપજી શકે તેવું જાણવા છતાં આવું કૃત્ય કરી ફરિયાદીના જુના મન દુઃખનો ખાર રાખી ફરિયાદીને છૂટા પથ્થરના ઘા મારી તેમજ ધોકા વતી માર મારી ફરિયાદીનું મોટરસાયકલ રજીસ્ટર નંબર- જીજે-૦૧-પીજે-૮૪૮૮ વાળું સળગાવી દઈ રૂ.૮૦૦૦ નું નુકસાન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જેથી આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





