(અહેવાલ: ભવિષ જોષી – હળવદ)
હળવદ: ભાદરવા સુદ ચોથ એટલે ભગવાન ગણેશનો સ્થાપના દિવસ જે ગણેશ ચતુર્થી પર્વથી ભારતભરમાં ઉજવાય છે. ભગવાન ગણેશ વિઘ્નહર્તા દેવ છે. ગણેશ ચતુર્થી ભારતભરમાં ઉજવાય છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં, શેરીઓમાં ચોકમાં તેમજ પોતાના ગામમાં ભગવાન ગણેશનું સ્થાપન કરે છે. ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રનો લોકપ્રીય તહેવાર છે. પરંતુ હાલના સમયમાં દરેક રાજયોમાં શહેરોમાં આ દિવસને ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના પ્રીય પુત્ર ગણેશની સંકટ ચોથ એટલે ગણેશ ચોથ.
ભગવાન ગણેશનું હળવદમાં પ્રાચીન સમયથી સ્થાપન કરવામાં આવે છે. હળવદના નાના મોટા દરેક વિસ્તારમાં ભગવાન ગણેશ મનું સ્થાપન થાય છે. હળવદના જાનીફળી, દરબાર ફળી, રાવલ ફળી, સોનીવાડ, કણબીપરા, આનંદ પાર્ક, ઉમિયા નગર, વસંત પાર્ક, ગોકુલ નગર,સ્ટેશન રોડ, શંકરપરા, આનંદ પાર્ક જેવા અનેક વિસ્તારોમાં ગણેશ ચતુર્થીના પર્વને ધામધૂમથી ઉજવાય છે.
જેમાં દરેક વિસ્તારના ગણપતિને પોતાના વિસ્તારના નામના રાજા તરીકે ઓળખવામાં આવે છે .જેમ કે જાનીફળી કા રાજા, સ્ટેશન રોડ કા રાજા, દરેક વિસ્તારના ગણપતિને ભક્તો દ્વારા અલગ અલગ શણગાર કરવામાં આવે છે. અને ભગવાન ગણેશની હળવદ ગામમાં વાજતે ગાજતે શોભા યાત્રા કાઢવામાં આવે છે. અને વિદ્વાન શાસ્ત્રીઓ દ્વારા ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. ગણપતિ મહોત્સવ ભાદરવા સુદ ચોથથી ચૌદસ સુધી ઉજવવામાં આવે છે.
આ પર્વમાં ગણેશ ભક્તો ભક્તિભાવ પૂર્વક ગણેશ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. ગણપતિ દાદાનો યજ્ઞ, ભગવાન સત્યનારાયણની કથા, આનંદનો ગરબો, ભજન ધૂન, જેવા અનેક ધાર્મિક કાર્યક્રમ ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવે છે. ભાદરવા સુદ ચોથને દિવસે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવે છે.ગુજરાતભરમાં આ પર્વને ખુબ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે અનેક ગણેશ પંડાલોમાં લોકો દર્શન માટે ઉમટી પડે છે.






