હળવદના દેવળીયા ગામે લોકમેળામાં આવારા તત્વોનો આતંક, આધેડ પર ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો
મોરબી: હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે ગઈકાલના રોજ લોકમેળામાં લુખ્ખાગીરી કરતા ત્રણ શખ્સો વિરુદ્ધ દેવળીયા ગામના આધેડે આવાજ ઉઠાવતા તેની ઉપર છરી વડે જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં આધેડને છરીના ઘા ઝીંકી દેતા હળવદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જાણ થતાં ઘટનાસ્થળે હળવદ પોલીસ સહિત મોરબી જીલ્લાની પોલીસની ટીમોના ટોળે ટોળા ઉતારવામાં આવતા દેવળીયા ગામે લોકમેળો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો જ્યારે પોલીસ દ્વારા આધેડની ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરાઇ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે રામાપીરના લોકમેળામાં ત્રણ શખ્સોએ આતંક મચાવ્યો હતો જેમાં આવારાતત્વો દ્વારા થતી બેરોકટોક પૈસાની ઉઘરાણી બાબતે આધેડ સુરજભાઇ ભોરણીયાએ અવાજ ઉઠાવતાં ત્રણ લુખ્ખાઓએ સુરજભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ત્રણ શખ્સોએ સુરજભાઇ ભોરણીયાને છરીના ઘા મારતા લોહીલુહાણ હાલતમાં આધેડને હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ ઘટનાના પગલે દેવળીયાનો લોકમેળો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો તેમજ બનાવ બાદ હળવદ પોલીસે ખાનગી હોસ્પિટલ પહોંચી આધેડની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.





