Sunday, June 21, 2026

રફાળેશ્વર મંદિરે પૂર્વ સીએમ રૂપાણીના હસ્તે પૌરાણિક લોકમેળો ખુલ્લો મુકાયો

Advertisement
Advertisement
Advertisement

રફાળેશ્વર મંદિરે પૂર્વ સીએમ રૂપાણીના હસ્તે પૌરાણિક લોકમેળો ખુલ્લો મુકાયો

રફાળેશ્વર મંદિરે મહાદેવના દર્શન અને પિતૃતર્પણ તેમજ મનોરંજનની વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ રહી છે : પૂર્વ સીએમ વિજય રૂપાણી, આ વખતે બે અમાસ હોવાથી આજે પણ હજારો લોકોએ ઉમટી પડી મહાદેવના દર્શન અને પિતૃતર્પણ કરી મેળાની મનભરીને મોજ માણી

મોરબી : જન્માષ્ટમીના બબ્બે ક્રિષ્ના લોકમેળાને પ્રચંડ પ્રતિસાદ મળ્યા બાદ મોરબી નજીક રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોથી શ્રાવણી અમાસ નિમિતે ભરતા પૌરાણિક લોકોમેળાને મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ ભક્તિ સાથે આનંદ કિલ્લોલથી મેળો માણી શકે એ માટે જાબુડિયા ગ્રામ પંચાયત સાથે મળીને મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે શ્રાવણી અમાસ નિમિતે તા.14 અને તા 15 એમ લગાતાર બે દિવસ સુધી રફાળેશ્વર મંદિરે “શિવતરંગ” લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે રફાળેશ્વર મંદિરે પૂર્વ સીએમ રૂપાણીના હસ્તે પૌરાણિક લોકમેળો ખુલ્લો મુકાયો છે.આ વખતે બે અમાસ હોવાથી આજે પણ હજારો લોકોએ ઉમટી પડી મહાદેવના દર્શન અને પિતૃતર્પણ કરી મેળાની મનભરીને મોજ માણી હતી.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા વર્ષોની પરંપરા મુજબ શ્રાવણી અમાસ નિમિતે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે તા.14 અને તા 15 સપ્ટેમ્બરના રોજ બે દિવસ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આ રફાળેશ્વર લોકમેળાને “શિવતરંગ” નામ આપવામાં આવ્યું છે. આ લોકમેળાને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અગ્રણીઓની હાજરીમાં આજે ઉદઘાટન કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ તકે પૂર્વ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, રફાળેશ્વર મેળો સમગ્ર સૌરાષ્ટ્રની આગવી ઓળખ છે. ભજન, ભક્તિ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ એટલે રફાળેશ્વર મેળો. આ મેળામાં મહાદેવના દર્શન, રફાળેશ્વર મંદિરે આવેલા પ્રાચીન કુંડમાંથી પાણી ભરી પ્રાચીન પીપળે રેડવાથી પિતૃઓને મોક્ષ મળે અને સાથે મનોરંજન માણવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. આ તકે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પૂર્વ નગરપતિ અને ભાજપ અગ્રણી પ્રદીપભાઈ વાળા, શહી ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, ભાવેશભાઈ કંઝારીયા, રિશીપભાઈ કૈલા, અરવિંદભાઈ વાસદડીયા, હિરેનભાઈ પારેખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાભાઈ ટમારિયા, સીરામીક ઉધોગ અગ્રણી વેલજીભાઈ બોસ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

આ મેળામાં ભક્તિનું ખાસ મહત્વ હોય એટલે ભગવાન શિવની ભક્તિને ઉજાગર કરતા વિવિધ ભક્તિસભર કાર્યકમો યોજાઈ રહ્યા છે. આજે સાંજે હરિયાણાના પ્રખ્યાત કલાકાર શિવ તાંડવ રજૂ કરશે અને આજે રાત્રે આખી રાત ભજનની રાવટીઓ ધમધમી ઉઠશે. આજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તા.15ના રોજ મહાદેવના ગુણગાન ગાતા ભક્તિસભર અને મનોરંજક કાર્યકમો યોજાશે. સાથેસાથે રફાળેશ્વર મંદિરે પ્રાચીન પીપળે પિતૃતર્પણનું મહત્વ હોવાથી હજારો લોકો અમાસના દિવસે ઉમટી પડીને પિતૃતર્પણ કરશે.

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આ વખતે બે અમાસ છે. ઘણા લોકો આજે પણ અમાસ ઉજવી રહ્યા હોવાથી આજે સવારે મેળો ખુલ્લો મુકાતા જ હજારો લોકો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને અમાસના દિવસે ભગવાન ભોળાનાથના દર્શનનું અનેરું મહત્વ હોવાથી આજે સવારથી મહાદેવ મંદિરમાં હજારો લોકોની દર્શન માટે લાઈનો લાગી હતી અને હજારો લોકોએ શ્રધ્ધાભેર મહાદેવ સમક્ષ શિશ ઝુકાવીને દર્શન કર્યા હતા. તેમજ મંદિરે આવેલા કુંડ સ્નાન કરીને કે પાણી ભરીને પ્રાચીન પીપળે પિતૃતર્પણ કર્યું હતું. આવતીકાલે પણ અમાસ હોવાથી હજારો લોકો ઉમટી પડીને મહાદેવના દર્શન તેમજ પિતૃતર્પણ કરીને મેળાની મોજ માણશે. એટલે આ મેળો બે દિવસ સુધી ચાલશે. જો કે લોકોની સુરક્ષા માટે મોરબી તાલુકા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,608,939

TRENDING NOW