વિદ્યાર્થીઓને ગણવેશ, સ્કૂલબેગ, બુટ-મોજા, શૈક્ષણિક કીટ અર્પણ કરનાર દાતાઓને સન્માનિત કરાયા

મોરબીના કંડલા બાયપાસ પાસે વાવડી ચોકડી પાસે આવેલ ખારીવાડી શાળા કે જે આજથી છ માસ પહેલા માત્ર 22 વિદ્યાર્થીઓ હોવાના કારણે ધો.1 થી 5 ની જ શાળા રહી અને ધો. 6 થી 8 બાજુની શાળામાં મર્જ થઈ હતી પણ ખારીવાડી વિસ્તારના વાલીઓ વસંતભાઈ અને નવરત્નો જેવા યુવા ટીમની જહેમતથી ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ અપાવી વિદ્યાર્થીઓની સંખ્યા 22 માંથી 222 કરી દીધી તેમજ વિદ્યાર્થીઓને મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને દિપકભાઈ પરમારે સ્કૂલબેગ, બાવરાની વાડીના વાલીઓ તરફથી બુટ મોજા, દામજીભાઈ કંઝારીયા, ખોડાભાઈ પરમાર અને માવજીભાઈ કંઝારીયા તરફથી શૈક્ષણિક કીટ અને નગરપાલિકા પ્રમુખ કે.કે.પરમાર, અનિલભાઈ કંઝારીયા અને નાનજીભાઈ કંઝારીયા તરફથી આર્થિક યોગદાન પ્રાપ્ત થયેલ હતું.

આ તમામ દાતાઓનું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જ્યંતીભાઈ પડસુંબિયા, જીલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, જયુભા જાડેજા, રણછોડભાઈ દલવાડી, કુસુમબેન પરમાર, લાખાભાઈ જારીયા અને જયરાજસિંહ જાડેજા સહિતનાઓની ઉપસ્થિતમાં સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું ગ્રામજનોએ પરંપરાગત રીતે રાસ લઈને કેડે તબલા બાંધીને તબલાંના તાલે અને ઢોલના નાદ સાથે અદકેરું સ્વાગત સન્માન કર્યું હતું. તમામ મહાનુભાવોએ દાતાઓએ બાળહિતમાં કરેલ પ્રવૃત્તિને બિરદાવી હતી. બ્રિજેશભાઈ મેરજાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ વિસ્તારનું નામ ખારીવાડી છે પણ કામ મીઠીવાડી જેવું કર્યું છે તેમજ મંત્રીએ સરકારની શિક્ષણની વિવિધ યોજનાઓ અને સરકારની વિકાસ વાટીકાની વાતો મૂકી હતી. આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા નવ રત્નો જેવી યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
