મોરબી: ‘અંગદાન..મહાદાન..જીવનદાન’ને વધુ એક વાર સાર્થક કરતી ઘટના સુરતમાં બની છે. મોરબીના મહેન્દ્રનગર ગામના વતની અને વલસાડના માણેક બાગના સેલવી ગામે રહેતા યોગ શિક્ષિકા રંજનબેન પ્રવિણભાઇ ચાવડાએ મૃત્યુ પછી કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યકિતોને નવજીવન આપ્યું છે. તેમના લીવરદાનથી સુરતના એક ઉદ્યોગપતિ અને સમાજસેવકને નવજીવન મળ્યું છે. સુરતમાં કિરણ હોસ્પિટલ ખાતે સૌપ્રથમવાર લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ઉપરાંત, ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતમાંથી બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાનની આ છઠ્ઠી ઘટના છે.
વલસાડના માણેક બાગ, સેગવી ગામ ખાતે રહેતા અને મૂળ મોરબીના મહેન્દ્રનગરના વતની અનુ.જાતિ સમાજના રંજનબેન પ્રવિણભાઈ ચાવડા (ઉ.વ.૪૦) યોગના ક્લાસીસ ચલાવતા હતાં. તેમના પતિ પ્રવિણભાઈ વલસાડમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ૧૬ વર્ષીય પુત્ર જય ધો. ૧૧માં અભ્યાસ કરે છે. ગત તા.૩૦ સપ્ટે.ના રોજ સવારે સ્વ. રંજનબેન તેમના બહેન તનુજાના ઘરે જવા મોપેડ પર જઈ રહ્યા હતા, એ સમયે વલસાડ ધરમપુર ચોકડી પાસે, એસ.ટી વર્કશોપની સામે એક અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી ટક્કર મારતા તેઓ મોપેડ પરથી નીચે પડી ગયા હતા, અને માથામાં ગંભીર ઈજા થવાથી તાત્કાલિક વલસાડની લોટસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.કે.સી.જૈનની સારવાર હેઠળ દાખલ કરાયા હતા.
ન્યુરોસર્જન ડૉ. કે.સી.જૈને ક્રેનિઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. પરંતુ તેમની હાલત નાજૂક હતી. આખરે તા. ૦૨ ઓક્ટો.ના રોજ રંજનબેનને બ્રેનડેડ જાહેર કરાયા હતાં. ડૉ. કે.સી.જૈને અંગદાન માટેની જાણીતી સંસ્થા ‘ડોનેટ લાઈફ’ના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલિફોનીક સંપર્ક કરી રંજનબેનના બ્રેઈનડેડ થવાં અંગે વાકેફ કર્યા હતા.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રંજનબેનના પતિ પ્રવિણભાઈ, બેન વિજયા, દક્ષા અને તનુજા, બનેવી રણજિતભાઈ અને જિગરભાઈ, ભાઈ નરસિંહભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. રંજનબેનના પતિ પ્રવિણભાઈએ ભારે હ્રદયે જણાવ્યું કે, ‘મારા પત્ની બ્રેઈનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. શરીર બળીને રાખ થઈ જવાનું છે. તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો તેનાથી વધુ સારી માનવસેવા શું હોઈ શકે? સમગ્ર પરિવારે અંગદાન માટે સંમતિ આપતા સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) – ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડીનેટરનો સંપર્ક કરી કિડની અને લિવરના દાન માટે જણાવ્યું. SOTT0 દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને જયારે કિડની અમદાવાદની અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરને (IKDRC) ને ફાળવવામાં આવી.
સુરતની કિરણ હોસ્પિટલના ડૉ.રવિ મોહન્કા અને તેમની ટીમે લીવરનું દાન સ્વીકાર્યું. અમદાવાદની IKDRC હોસ્પિટલના ડૉ.સુરેશકુમાર અને ટીમે કિડની અને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
અંગદાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવકમાં ડૉ.રવિ મોહન્કા, ડૉ.પ્રશાંથ રાવ અને તેમની ટીમ દ્વારા કરાયું હતું. એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં રાજકોટની રહેવાસી ૪૦ વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આણંદની રહેવાસી ૪૫ વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે.
