મોરબી: મચ્છુ-3 યોજનાના ખાતમુહુર્તને 30 વર્ષ થયા છતાં હજુ સુધી કેનાલનું કામ પુર્ણ ન થયા હોવાની ઇન્ટરનેશનલ હ્મુમન રાઇટ્સના જનરલ સેક્રટરી કે.ડી.બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે. અને તાત્કાલિક મચ્છુ -૩ સિંચાઈ યોજનાની કેનાલોનું કામ પૂર્ણ કરી સિચાઈ માટે ચાલુ કરવા માંગ કરી હતી.
તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોરબી જીલ્લા માં મચ્છુ ૩ સિચાઈ યોજના આવેલ છે. આ યોજના પહેલા દેરાળા-ગુંગણ ગામ પાસે બનવા માટે સર્વે કરવામાં આવેલ હતું. તે સમયના ધરાસભ્ય પટેલ જીવરાજભાઈ થોભણભાઈ દ્વારા આ યોજના થાય તે માટે ખુબજ પ્રયત્નો કરવામાં આવેલ હતા. ત્યારબાદ સરકાર બદલાતા તે સમયના મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ દ્વારા આ યોજના સદુરકા ગામ પાસે કરવા માટે નક્કી કરવામાં આવેલ હતું. અને કેશુભાઈ પટેલ દ્વારા ગુજરાત ભરમાં આ એક માત્ર ડેમનું સૌથી પહેલા ખાતમુર્હ્રત કરવામાં આવેલ હતું. આમ આ મચ્છુ – ૩ યોજના મોરબીને કેશુભાઈ પટેલની ભેટ ગણવામાં આવે છે.
આ મચ્છુ-૩ યોજનાના ખાતમુહુર્તને આજે ત્રીસ વર્ષ જેવો સમય થઇ જવા પામેલ છે. આ યોજનાના હેડવર્કનું કામ ઘણા વર્ષોથી કમ્પ્લીટ છે. ડેમમાં પાણીનો સંગ્રહ પણ થાય છે. પણ ખાટલે મોટી ખોટ છે કે હજુ કેનાલનું કામ પૂર્ણ થયેલ નથી અને કમાંડ વિસ્તારના ગામોને જેમ ગધેડા આગળ ગાજર લટકાવેલ હોય અને હમણાં ખાવા મળશે તેવી આશામાંને આશામાં ચાલે રાખે, રીતે ખેડૂતોને પણ પોતાની આશા પૂરી થતી નથી. ક્યારે પાણી મળે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે.
આ યોજનાની કેનાલુંનું કામ ખુબજ ધીમી ગતિનું ચાલ્યું છે. અને હજુ પણ ચાલે છે. રાજકીય આગેવાનો દરેક ચુંટણીમાં આ બાબતે લોલીપોપ વચનો આપતા હોય છે. પરંતુ હજુ સુધી આ કેનાલ નું કામ પૂર્ણ થયેલ નથી. આવા કોરોનાની મહામારીના વર્ષમાં જયારે અન્ય ઉદ્યોગ- વેપાર-ધંધામાં મંદી છે. ત્યારે જો ગત ઉનાળામાં સિચાઈનો લાભ આ ગામોના ખેડૂતો ને મળ્યો હોત તો ખુબજ લાભ દાયક બનત, પરંતુ હજુ સુધી આ બાબતે કઈ થયું હોય તેવું જણાતું નથી.
આ કેનાલના કામોમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ હોય તેવું લોકો કહી રહ્યા છે. કેનાલનું કામ મંજુર થયેલ એલાઈમેન્ટમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે. અને તેમાં પણ ભ્રષ્ટાચાર થયેલ હોવાની પુરેપુરી શક્યતાઓ છે. તે ઉપરાંત કેનાલના બાંધકામમાં પણ ખુબજ બેદરકારી પૂર્વક કામ થયેલ છે. અને તેમાં પણ ભ્રષ્ટાચારની તપાસ કરવાની અમારી માંગણી છે. તે ઉપરંત કામમાં વિલંબ થવાના કારણોની પણ યોગ્ય તપાસ કરવા અમારી માંગણી છે. તો અમારી એ પણ માંગણી છે કે આ કેનાલનું કામતાત્કાલિક પૂર્ણ કરીને ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે તેમજ ગેરરીતી ઓની તપાસ કરીને કસુરવારને યોગ્ય સજા થાય તે કરવામાં આવે, જો આવું કરવામાં નહી આવે તો અમારે ના છુટકે કમાંડ વિસ્તારના ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે.





