જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ પંજાબ બેંકના તાળા તોડનાર શખ્સ ઝડપાયો.
જામનગરના ઉદ્યોગનગર પાસે આવેલી પંજાબ બેંકની શાખામાં ગયા શનિ-રવિવારમાં શટરના તાળા તોડી ચોરીનો પ્રયાસ થયો હતો. તેની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. તસ્કરના સીસીટીવીમાંથી સગડ મળ્યા હતા. આ તસ્કરને બેંકમાં ફોગટ ફેરો થયો હતો. તેણે સ્ટ્રોંગ રૂમની દીવાલ તોડવા ઉપયોગમાં લીધેલું મશીન પોલીસે કબજે કર્યું છે. મૂળ નેપાળ અને હાલમાં અભ્યાસ કરતા આરોપીની પૂછતાછ કરાઈ રહી છે.
જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકની ઉદ્યોગનગર શાખામાં ગયા શુક્રવારે સાંજે કામકાજનો સમય પૂર્ણ થયા પછી સાડા છએક વાગ્યે બેંકના તમામ કર્મચારી રવાના થયા હતા. તે પછી શનિવાર, રવિવારની રજા હતી તેથી સોમવારે સવારે બેંક ખોલવામાં આવી હતી.
આ વેળાએ બેંકના શટરના તાળા તૂટેલા જોવા મળતા ઉપરી અધિકારીને તેની જાણ કરવામાં આવી હતી. દોડી આવેલા બેંકના અધિકારીએ અંદર તપાસ કરતા સ્ટ્રોંગ રૂમની દીવાલ તોડવાનો પ્રયાસ કરાયો હોય તેવી નિશાનીઓ જોવા મળી હતી. આથી પોલીસને જાણ કરી બેંક સ્ટાફે સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા.
સીસીટીવીમાં એક શખ્સ રાત્રિના સમયે બેંકમાં શટરનું તાળું તોડી અંદર ઘૂસ્યાની અને તેણે ખાંખાખોળા કર્યાની વિગતો પ્રાપ્ત થતાં પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તેમાં દેખાતા શખ્સને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી હતી.. સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેંકના કર્મચારી નિતુકુમારી સાહાએ વિધિવત ફરિયાદ નોંધાવી હતી. તેના પરથી પીઆઈ એ.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એસ. માણીયા તથા સ્ટાફે વિવિધ દિશાઓમાં તપાસના ઘોડા દોડાવ્યા હતા.
તપાસ દરમિયાન સ્ટાફના હોમદેવસિંહ, યુવરાજસિંહ, વનરાજ ખવડ, મહાવીરસિંહને બાતમી મળી હતી. તેના આધારે મૂળ નેપાળના કાલા ગામના વતની અને હાલમાં ઉદ્યોગનગરમાં કે/૧/૨૮૧માં આવેલા એક કારખાનામાં રહેતા ભરત અમરભાઈ નેપાળીના પુત્ર શંકર (ઉ.વ.રર)ની અટકાયત કરવામાં આવી હતી.
આ શખ્સની પૂછપરછ કરાતા તેણે બેંકના શટરના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યાની કબૂલાત આપી છે. પોલીસે તાળું તથા દીવાલ તોડવા ઉપયોગમાં લેવાયેલું ગ્રાઈન્ડર મશીન તથા એક સાયકલ કબજે કર્યા છે.





