▪️સરળ, સહજ અને માર્મિક સાહિત્યકાર…
▪️ચારણી સાહિત્યની હરતી ફરતી યુનિવર્સિટી એવા શ્રી યશવંત લાંબાનો આજે જન્મદિવસ..
જામનગરના જાંબુડા ગામમાં તા- ૯/૧૦/૧૯૫૬ના રોજ જન્મેલા યશવંતભાઇ એક ઉમદા ચારણી સાહિત્યકાર, નાટ્યકાર, વિવેચક, ગણિત શાસ્ત્રી અને સિદ્ધ હસ્ત લેખક છે. કોલેજ કાળથી જ નૃત્ય ભારતી જામનગર સંસ્થા સાથે તેઓ જોડાયેલા. આ દરમિયાન તેમના લખેલા મૃત્યુ પર વિજય, સત્યવાન સાવિત્રી વગેરે નાટકો ભારતભરમાં તેમજ યુરોપ અને આફ્રિકામાં પણ ભજવાયાં હતા અને સફળ રહ્યા હતાં. યશવંતભાઇએ આ નાટકો દ્વારા દુનિયાભરમાં પોતાની વિશેષ પ્રતિભાનો પરિચય આપ્યો છે.

સને ૨૦૦૭/૦૮માં જામ સાહેબની હાજરીમાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યશવંતભાઇને હાલાર રત્ન ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. તેમને બીજા પણ અનેક એવોર્ડ તેમજ બહુમાન પ્રાપ્ત થયા છે. તેઓ તેમના નાટકો દ્વારા રેડીયો તેમજ દૂરદર્શન પર બહુજ સન્માન અને નામના પામ્યા છે.
તેમણે ઉતમ વકતા તરીકે પણ લોક હ્રદયમાં બહું ઉંચુ સ્થાન મેળવ્યું છે. એક જાહેર કાર્યક્રમમાં તેઓએ પોતાની માર્મિક કથનશૈલીમાં શ્રોતાઓને એક વાત જણાવી, તેમણે કહ્યું કે લોકો કહે છે કે, – ગઢવીઓ કાંઇ કરતા નથી.. ગઢવીઓની મા જગતંબા જગત માટે એટલું બધુ કરી રહી છે કે અમારે કાંઇ કરવાની જરુર જ ક્યાં છે..હસતાં હસતાં.. મરકતા મરકતા. અંતરની આવી વાતો સાંભળીને ખરેખર બહુ આનંદ આવે છે. એકદમ અણિશુદ્ધ કોઠાસૂઝની ભાવ સભર વાતો, સહજ અને સમયક વાતો આજે પણ યશવંતભાઇના મુખથી આપણને સાંભળવા મળે છે.

જેમના રોમ રોમમાં ચારણી અસ્મિતા, ચારણી સંસ્કૃતિ અને ચારણી સાહિત્ય રહેલું છે એવા યશવંતભાઇ ચારણ સમાજ અને સાહિત્યજગતનો કિંમતી ઘરેણું છે. તેઓ ચારણી સાહિત્યની હરતી ફરતી યુનિવર્સિટી છે. તેમનું પુરું નામ યશવંતભાઇ આણંદભાઇ ગઢવી (લાંબા) છે.
આજે યશવંતભાઇ લાંબાને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. મા કરણીજી અને સોનબાઇના આશિર્વાદ તેમના પર કાયમ રહે, તેઓ સ્વસ્થ, વ્યસ્ત અને મસ્ત રહે એવી શુભકામનાઓ..
- દશરથદાન ગઢવી





