મોરબીને એરપોર્ટની સુવિધા મળે તે માટે સરકાર દ્વારા રાજપર રોડ ઉપર આવેલી રાજાશાહી વખતની એરસ્ટ્રીપ વિકસાવી એરપોર્ટ નિર્માણ કરવા મંજૂરી આપતા મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા સૂચિત નવા એરપોર્ટ ફરતે અંદાજે સાડા પાંચ કિલોમીટર લંબાઈની દીવાલની કામગીરી રૂપિયા સાડાચાર કરોડના ખર્ચે શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે 6 મહિનાની મુદત આપવામાં આવી હતી જે મુદત આગામી 28 જુનના રોજ પૂર્ણ થવાની છે જોકે આટલા સમયમાં માત્ર 3000 મીટર એટલે કે 60 ટકા જેટલું જ કામ પૂર્ણ થઈ શક્યું છે જયારે 2500 મીટર દિવાલનું કામ અટક્યું છે. આ કામગીરી અટકવાનું કારણ સ્થાનિક ખેડૂતોનો રસ્તાના પ્રશ્ને વિરોધ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બાઉન્ડ્રી વોલની એક સાઈડમાં આઠ જેટલા ખેડૂત ખાતેદારોને ખેતરમાં જવાનો રસ્તો નીકળે છે અને હાલ તેઓ ત્યાંથી આવન જાવન કરે છે. બાઉન્ડ્રી વોલ બન્યા બાદ તેઓનો રસ્તો બંધ થઈ જાય છે અને તેમને અન્ય વૈકલ્પિક રસ્તો ફાળવવામાં આવ્યો ન હોવાથી બાઉન્ડ્રી વોલ બનાવવાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ ગંભીર પ્રશ્નને લઈને ખેડૂતોમાં વ્યાપક રોષ ઉઠતા હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા એજન્સી પાસે દીવાલની બાકી રહેતી 2500 મીટર જેટલી એટલે કે 40 ટકા જેટલી કામગીરી બંધ કરાવી દેવામાં છે. એક મહિના પહેલા એરપોર્ટ એથોરીટીની ટીમ મોરબીમાં બની રહેલા એરપોર્ટના નિરીક્ષણ માટે આવી ત્યારે જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહીતના અધિકારીઓની હાજરીમાં એક બેઠક કરી આ મુદાનો યોગ્ય ઉકેલ લાવવા પણ સુચનાઓ આપી હતી પરંતુ આ સુચનાને જાણે સ્થાનિક તંત્ર ઘોડીને પી ગયું હોય તેમ આજ દિન સુધી તેમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જેના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ એરપોર્ટની બાઉન્ડ્રી વોલની કામગીરી અધ્ધર તાલ પડી છે.