મોરબીના મહેન્દ્રનગરથી ઘુંટુ તરફ જવાના રોડ ઉપર અજાણ્યા ટ્રકચાલકે બાઈકસવાર દંપતીને હડફેટે લેતા બંને ઈજાગ્રસ્ત થયા હતા જેમાં સારવાર દરમિયાન પત્નીનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નારણભાઈ વિરજીભાઈ મુંધવાએ ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે, તે મહેન્દ્રનગર ઘુંટુ રોડ પર ઉમા રેસીડન્સી સોસાયટીના ગેટની સામે રોડ ઉપર તેમના ધર્મપત્ની સાથે બાઈક પર જતા હતા એ સમયે અજાણ્યા ટ્રકચાલક આરોપીએ ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવીને નારણભાઈના મોટરસાયકલ (GJ-36-N-1400) ને પાછળના ભાગેથી હડફેટે લઈ અક્સ્માત સજર્યો હતો જેમાં નારણભાઇ અને પત્ની બાઈક પરથી નીચે પડી જતા નારણભાઈને શરીરે મૂંઢમાર લાગ્યો હતો અને તેમના પત્નીને ડાબી બાજુ માથાના ભાગે તથા ડાબી આંખના ભાગે તથા ડાબા હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી બંનેને પ્રથમ મોરબીની સમર્પણ હોસ્પીટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા જ્યાં નારણભાઈના પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલમાં મોરબી તાલુકા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.