નર્મદા નીગમને તાકીદે બ્રાહ્મણી ડેમમાં પાણી ઠાલવવા પાણી પુરવઠા બોર્ડની માંગ
હળવદ : ઝાલાવાડ સહિત હળવદ તાલુકામાં સતત પડી રહેલા હીટ વેવ વચ્ચે હળવદ તાલુકામાં ઠેર ઠેર પાણીની અછત વર્તાઈ રહી છે. ખાસ તો હળવદના બ્રાહ્મણી ડેમના તળિયા દેખાયા છે જેથી નર્મદાના નીર ન ઠલવાઈ તો હળવદના 22 જેટલા ગામોમાં જળ કટોકટીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ તેવી ભીતિ સેવાઈ રહી છે. ખાસ તો રણ કાંઠા વિસ્તારના અંતરિયાળ ગામોમાં 42 ડીગ્રી તાપમાન વચ્ચે પાણીની કટોકટી સર્જાઈ રહી છે સાથે પશુધન માટે પણ પરિસ્થિતિ વિકટ બનતી જાય છે.
હળવદ તાલુકામાં હાલ ઉનાળાના મધ્યાહ્નને જો તંત્ર સમયસર આયોજન ન કરે તો પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાય શકે એમ છે જેમાં હળવદનો બ્રાહ્મણી-2 ડેમ હવે ખાલી થવાની તૈયારીમાં છે હવે આ ડેમમાં માત્ર પાંચ કે સાત દિવસ ચાલે એટલું જ પાણી બચ્યું છે. હળવદના બ્રાહ્મણી-2 ડેમમાંથી જીડબ્લ્યુએલવાળા 125 એમએલડી પાણી અને પાણી પુરવઠા બોર્ડ દરરોજ 19 એમએલડી પાણી ઉપાડે છે. આથી હવે ડેમ ડુકી ગયો હોય આવનારા થોડા દિવસોમાં જ પાણીની મોટી હાડમારી સર્જાશે. આ અંગે પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર વાંકાણીએ જણાવ્યું હતું કે, આ હળવદનો બ્રાહ્મણી-2 ડેમ ખાલી થવાની તૈયારીમાં હોય તેમના દ્વારા નર્મદા નિગમ અને જળસંપત્તિ વિભાગને રજુઆત કરીને વહેલીતકે આ ડેમને નર્મદાના નિરથી ભરી દેવા માંગ ઉઠાવી છે.
નર્મદા નિગમ અને જળસંપત્તિ વિભાગને રજુઆત બાદ પણ હજુ આ ડેમને નર્મદા નિરથી ભરી દેવાયો ન હોય ફરીથી રજુઆત કરી તેમજ મોરબી ખાતે કલેકટર કચેરીમાં સંકલન સમિતિની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે ટુક સમયમાં હળવદનો આ ડેમ નર્મદાથી નહીં ભરાય તો હળવદ તાલુકાના 22 ગામોને પાણી માટે વલખા મારવાની નોબત આવશે જ્યારે માળીયા અને હળવદના અગર વિસ્તારમાં 46 ફેરા સાથે પાણીના ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા હોવાનું પાણી પુરવઠાના અધિકારીએ જણાવ્યું હતું.