ડોનેશન પ્રથા બંધ કરવા તથા FRC કમિટીમાં વાલી સભ્યનો સમાવેશ કરવાની પણ માંગ
મોરબી : શિક્ષણ ૨૧મી સદીનું સૌથી જરૂરી અંગ છે. શ્રેષ્ઠ શિક્ષણ થકી જ વ્યક્તિ, સમાજ કે દેશનો વિકાસ કરી શકાય છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં શિક્ષણનો વેપાર ચાલું છે. વાલીઓ પાસેથી તગડી ફી લઈને ખાનગી શાળાઓ પોતાની મનમાની ચલાવી ગુજરાતના લોકોને લૂંટી રહી છે તે બાબતે આમ આદમી પાર્ટી દ્વારા ખાનગી શાળામાં થયેલ ફી વધારો પાછો ખેંચવા, ડોનેશન પ્રથા બંધ કરવા અને FRC કમિટીમાં વાલી સભ્યનો સમાવેશ કરવા સહીતની માંગણીઓ સાથે મોરબી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ માંગણી અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે પ્રદર્શન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી શાળામાં ફી વધારા ઉપર તેમજ ડોનેશન ઉપર પ્રતિબંધ મુક્યો છે. આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી શાળા દ્વારા પુસ્તકો, યુનિફોર્મ કે બૂટ મોજાની ખરીદી બાબતે દબાણ કરવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે ત્યારે ગુજરાતની જનતા માટે આમ આદમી પાર્ટી દ્વારા ત્રિવેણી માંગ સાથે અન્ય પાયારૂપ માંગ કરવામાં આવી છે. કોરોના પછી લોકોની આવકમાં અત્યંત ઘટાડો થયો છે. બીજી બાજુ મોંધવારી પણ વધતા સામાન્ય માણસ માટે ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ છે એવા સમયે પૈસાના અભાવે ગુજરાતના બાળકોનું શિક્ષણ ન બગડે તેમજ ગુજરાતના વાલીઓને રાહત મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.