મોરબી જીલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની સુવિધાને લઈને અવારનવાર ફરીયાદો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવે છે પણ જવાબદાર તંત્ર આંખ આડા કાન કરતુ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, અશોક ખરચરીયાં, જગદીશભાઈ બાંભણીયા, મુસાભાઈ બ્લોચ અને જીગ્નેશભાઈ પંડયાએ મોરબી સિવિલ હોસ્પીટલમાં મહિલા શૌચાલય બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે.
જે રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી જીલ્લામાં એક માત્ર સિવિલ હોસ્પીટલ આવેલ છે પરંતુ કમનસીબે અહીંયા મહિલાઓ માટેનું શૌચાલય નથી અને જે છે તે એક વર્ષથી ખંઢેર હાલતમાં પડેલ છે અને ત્યાં કોઈ જાતની સફાઈ થતી નથી, પોખરા ભરાઈ જવાથી પાણીનો નીકાલ થતો નથી તો મોરબી જીલ્લા કે અન્ય ગામમાંથી આવતા દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તથા તે દર્દીઓને મળવા આવતા તેમના સગા-વ્હાલાને જાહેરમાં શૌચ કરવું પડે છે. સને-૨૦૧૪ માં આ અંગે રજુઆત કરેલ હતી અને આ શૌચાલયને મરામત માટે ગ્રાન્ટ રૂ. ૯૭.૬૩ લાખની ગ્રાન્ટ મંજુર થયેલ છે પરંતુ આ અંગે કોઈ પણ જાતનું કામકાજ હજુ સુધી થયેલ નથી અને જે થયેલ છે તે ગોકળ ગાયની ગતીએ થયેલ છે અને જે અગત્યનું છે તે કામ થયેલ નથી જે હજુ સુધી પેન્ડીંગ છે અને જાહેર શૌચાલયને તાળા લગાડેલ છે. આર.એમ.ઓ. ની ઓફીસની સામે જ શૌચાલયને તાળા મારેલ છે અને ઓફીસની સામે ગંદકીનો રાફળો ફાટેલ છે. છેલ્લા ૬ થી ૭ મહિનાથી આ શૌચાલયને તાળા મારેલ છે જેથી મહિલાઓ માટે શૌચાલય બનાવવા રજૂઆત કરવામાં આવી છે.