મોરબી : આગામી તા. ૦૩ મે ના રોજ અક્ષય તૃતીયા (અખાત્રીજ) ના દિવસે દરેક જ્ઞાતીના લગ્ન તથા સમૂહ લગ્નો યોજાનાર છે ત્યારે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ ની કાયદાકીય જોગવાઈઓ મુજબ બાળ લગ્ન કરવા કે કરાવવા ગુનો બને છે. બાળ લગ્ન અધિનિયમ મુજબ કન્યાની ઉંમર ૧૮ વર્ષ પુરી હોય અને વરની ઉંમર ૨૧ વર્ષ પુર્ણ હોય તો જ લગ્ન થઈ શકે છે. ઉંમર કરતા નાની ઉંમરે લગ્ન કરવા એ ગુનો બને છે.
લગ્નમાં જોડાયેલા જેવા કે સમૂહ લગ્ન આયોજકો, સામાજીક આગેવાનો, ગોર મારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોયા, કેટરર્સ, મંડપ ડેકોરેશન, બગીવાળા, ડીજે-બેન્ડ વાજા, ફોટો અને વીડિયોગ્રાફર તેમજ લગ્ન કંકોત્રી છાપવાવાળા તેમજ લગ્નમાં આવનાર સગાસબંધીઓ અને લગ્ન માટે વાડી ભાડે આપનાર દરેકને તથા જાહેર જનતાને મોરબી જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ એક લાખ રૂપિયા દંડ તથા બે વર્ષ સુધીની કેદ સજા પાત્ર ગુનો છે અને આ સામાજીક દૂષણને અટકાવવું તે આપણા સૌની જવાબદારી છે.
જો આવા લગ્ન કરવા દેવામાં આવે તો દીકરા, દીકરીઓ ઉપર ઘણી વિપરીત અસર થાય છે જેથી આપના ગામમાં કે મોહલ્લામાં બાળલગ્ન ન થાય તેની તકેદારી રાખવી અને આ લગ્ન થતા જણાઈ આવે તો તાત્કાલિક બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી (ઈ.ચા) મિલનભાઇ પંડિત મો. ૯૯૧૩૨૩૭૫૦૦, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ શેરશિયા મો. ૯૪૨૭૫૧૨૮૩૬, સુરક્ષા અધિકારી, રિતેશકુમાર ટી. ગુપ્તા મો. ૯૫૮૬૪૦૫૪૫૩, લીગન કમ પ્રોબેશન ઓફિસર રોશનીબેન પટેલ મો. ૯૦૩૩૫૬૯૨૪૯, ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ (ફ્રી હેલ્પલાઇન), પોલીસ (૧૦૦), મહિલા અભયમ્ ૧૮૧ (ફ્રી હેલ્પ લાઇન) નો સંપર્ક સાધી જાણ કરવા અને આપેલી માહિતી ગુપ્ત રાખવામા આવશે તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ શેરશિયાએ જણાવેલ છે.