મોરબી : ગુજરાત ગેસ કંપની દ્વારા સીરામીક ઉધોગને અપાતા ગેસની સપ્લાયમાં માર્ચ મહિનાથી 20 ટકા જેટલો કાપ મૂકવામાં આવ્યો છે છતાં કાપ મુકાયા પછી પણ સિરામિક ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં ગેસ મળતો ન હોય જેથી ઉદ્યોગકારો માટે વિકટ પરિસ્થિતિ સર્જાતા નાછુટકે ઉદ્યોગને બંધ કરવાની નોબત આવી શકે છે જેથી આજે 250 થી વધુ ઉદ્યોગકારો લાલપર ગામ પાસે આવેલ ગુજરાત ગેસ કંપની ખાતે પહોંચ્યાં હતા અને પોતાની માંગણી રજૂ કરતાં દેકારો બોલી ગયો હતો પણ ગુજરાત ગેસ કંપનીનાં જવાબદાર અધિકારી દ્વારા કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત અગાઉ પણ રજૂઆતો કરેલ હોય ત્યારે પણ સંતોષકારક જવાબ ન મળતા સીરામીક ઉદ્યોગકારો રોષે ભરાયા છે.
સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપનાર વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ઉદ્યોગને ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા ગેસના ભાવમાં ગત ઓગસ્ટ માસથી ભાવવધારો ચાલું રહેતા હાલમાં ગેસના ભાવ બમણા થયા છે આમ છતાં પણ સીરામીક એકમોની માંગ મુજબ પુરતો ગેસ આપવાને બદલે ગુજરાત ગેસ કંપની દ્વારા કાપ મુકવામાં આવ્યો છે. બે મહિનાથી ઉદ્યોગની માંગ મુજબ ગેસ આપવાને બદલે કરાર કરનાર ઉદ્યોગને 20 ટકા કાપ સહન કરવો પડે છે તો બીજી તરફ નેચરલ ગેસની સપ્લાયમાં એમજીઓમાં 20 ટકા કાપ મુકવાની સાથે અનેક એવી કંપનીઓ છે કે જેમને ગત મહિનામાં મેઈન્ટન્સને કારણે સીરામીક પ્લાન્ટ બંધ રાખ્યા હોય તેઓને મે મહિના માટે એમજીઓ માટે કોઈ જથ્થો જ ન ફાળવવામાં આવતા આજે સવારે 250 થી 300 જેટલા ઉદ્યોગકારોનો સમૂહ ગુજરાત ગેસની ઓફિસે પહોંચી ગયો હતો અને મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખોને બોલાવી તાકીદે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ ઉઠાવી હતી.

આ ઉપરાંત સીરામીક ઉદ્યોગકારોની યોગ્ય માંગને પગલે મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ સહિતના હોદેદારો પણ ગુજરાત ગેસ કંપની ખાતે તાકીદે દોડી ગયા હતા અને જોત જોતામાં બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો એકત્રિત થયા હતા. જો કે, ઉદ્યોગકારોના પ્રશ્ને ગુજરાત ગેસ કંપનીના સ્થાનિક અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું હતું અને સીરામીક આગેવાનોએ ગાંધીનગર ફોન ધણધણાવી સાંજે ચાર વાગ્યા સુધીમાં ગેસ પ્રશ્ને યોગ્ય ઉકેલ લાવવામાં આવે નહીંતર સિરામિક ઉદ્યોગકારો દ્વારા આંદોલનનાં મંડાણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.






