મોરબીની અમરેલી ગ્રામ પંચાયત હેઠળ આવતી સરકારી પ્રાથમિક શાળા શાંતિવનમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી, મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલભાઈ મહેતા તેમજ નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચરની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022 નો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર 44 બાળકોને શૈક્ષણિક કીટ આપી વિદ્યારંભ કરાવવામાં આવ્યો હતો.
આ તકે શાળામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે 100% હાજરી આપનાર બાળકોને પણ ઈનામો આપી બિરદાવવામાં આવ્યા હતા. વિવિધ સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરનાર વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્નન અર્પણ કરવામાં આવ્યા હતા જ્યારે અમરેલી ગ્રામ પંચાયતના બિનહરીફ સરપંચ ગેલજીભાઈ ખોડાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શાળાને છુટ્ટા હાથે દાન આપનાર શાળા નિવૃત્ત શિક્ષકો શિવલાલભાઈ કાવર, દિલીપભાઈ ભટ્ટી, લખમણભાઈ ભોજાણી, દામજીભાઈ વડાવીયા, ગુણુભાઈ બાવરવાનું સન્માન કરવામાં આવ્યું હતું. ધો. 5 થી 8માં પ્રથમ દસ ક્રમે આવનાર બાળકોને ‘સાચી જોડણી, લાગે વ્હાલી’ પુસ્તક અર્પણ કરનાર જોય ઓફ ગિવિંગ ટીમના ભાવિપ્રસાદ રાવલનું પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યાં હતાં અને શાળા પરિવારને સારી કામગીરી બદલ બિરદાવ્યા હતાં. મામલતદારે પોતાના વ્યક્તવ્યમાં શાળાના શિક્ષકોને રાષ્ટ્રનિર્માણમાં તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં અને કાર્યક્રમનું સંચાલન બાળકોએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મનન બુધ્ધદેવ અને શિક્ષકોની ટીમે જહેમત ઉઠાવી હતી.

