મોરબી : રાજપુત કરણી સેના દ્વારા આગામી તા. ૧લી મે ના રોજ ગુજરાત સ્થાપના દિનથી ૧૫મી મે સુધી સમાજની એકતા સ્થપાય એવા હેતુથી માતાના મઢથી સોમનાથ મંદિર સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એકતા યાત્રા આગામી તા. ૧૨મી એ મોરબી પહોંચશે. રાજપૂત કરણી સેના દ્વારા આયોજીત એકતા યાત્રાના સંદર્ભમાં રાજપૂત કરણી સેના મોરબી દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત અધ્યક્ષ જે.પી.જાડેજા ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા તથા રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજાએ એકતા યાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજપૂત કરણી સેના દ્વારા સમાજનું સંગઠન મજબૂત થાય અને ક્ષત્રિય સમાજમાં સામાજીક, રાજકિય તથા શૈક્ષણિક જાગૃતિ આવે તથા નાના-મોટા કુરિવાજો નાબુદ થાય તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી ૧૮૦૦ થી ૨૦૦૦ કી.મી.ની એકતા યાત્રામાં ૧૬ દિવસ જેટલો સમય લાગશે. ક્ષત્રીય સમાજના આસ્થાનું કેન્દ્ર ગણાતા આશાપુરા માતાજીના મંદિર માતાના મઢથી તા. ૦૧/૦૫/૨૦૨૨ ના રોજ પ્રસ્થાન કરશે અને તા.૧૨ ના રોજ વાંકાનેર-મોરબી પહોંચશે.
વધુમાં જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, આ યાત્રામાં કરણી-રથમાં માઁ અંબાજી, માઁ શકિત તથા માઁ ખોડલ સહીત રાજપુત કુળદેવીઓની જયોત સહીત પુરા ગુજરાતમાં ભુજ, મોમાઈમોરા, અંબાજી, ઉમીયાધામ, હિંમનગર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ધોલેરા, ભાવનગર, સુરેન્દ્રનગર, સુરજદેવળ, ચોટીલા, મોરબી, રાજકોટ, ગોંડલ, ખોડલધામ, ગાયત્રી આશ્રમ ગધેથડ, ઉમીયાધામ સીદસર, જુનાગઢ, ભવનાથ, કેશોદ, માળીયા હાટીના થઈને સોમનાથ મહાદેવ મંદિર ખાતે પુર્ણાહુતી થશે. આ એકતા યાત્રામાં રાજપુત સમાજના ભારતભરમાંથી રાજકીય, સામાજીક આગેવાનો ઉપરાંત રાજપુત કરણી સેનાના શીર્ષ સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ખાસ ઉપસ્થિત રહેશે. એકતા યાત્રામાં સાધુ-સંતો તથા સામાજીક અગ્રણીઓ પણ જોડાશે.
(અહેવાલ : જયેશ બોખાણી)
