મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી પંથકમાં પણ હવામાનમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ છવાયું છે તેમજ માવઠાની આગાહી વચ્ચે ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે તો બીજી તરફ આ વાદળછાયા વાતાવરણનાં કારણે રોગચાળો વકરવાનો પણ ભય છે.
મોરબી સહીત સૌરાષ્ટ્રભરમાં માર્ચ અને એપ્રિલ મહિનાથી કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે જનજીવનને ભારે અસર પહોંચી હતી. કાળઝાળ ગરમીમાં માણસની સાથે સાથે પશુ પક્ષીઓની સ્થિતિ પણ કફોડી બની છે. કાળઝાળ ગરમીથી જનજીવનને અસર પડી રહી છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે હાલ રાહતના સમાચાર મળી રહ્યા છે જેમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરને કારણે સૌરાષ્ટ્રનું વાતાવરણ પલટાયું છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લામાં છુટા છવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે અને મોરબીમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. મોરબીમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણના કારણે શહેરીજનોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રીતે રાહત મળી છે તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. કમોસમી વરસાદ થાય તો ઉનાળુ પાક અને બાગાયત પાક બંનેમાં ખેડૂતને નુકશાન સહન કરવું પડી શકે છે જેથી ખેડૂતો હાલ વરસાદ ન થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
