સંસાર રામાયણ કથામાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાન કરતા સંતો
મોરબીના રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર ફાર્મમાં ઉમિયા માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની સંસાર રામાયણ પારાયણ ચાલી રહી છે. ભાવિકજનો ખૂબ મોટી સંખ્યામાં સંસારની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માર્ગદર્શન મેળવી રહ્યા છે ત્યારે માનવજીવન માટે અમૂલ્ય એવું રક્ત એકત્ર કરવું ખુબ જ જરૂરી હોય અને રક્તદાન એ સૌથી મહત્વનું અને અગત્યનું દાન છે.
આપણું એક વખતનું રક્તદાન ત્રણ જિંદગી બચાવી શકે છે, રક્તદાન કરનારને કેન્સરનું જોખમ ઘટે છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે, હૃદયરોગની પણ સંભાવના ઘટે છે, રક્તકણોના ઉત્પાદનમાં વેગ મળે છે, શરીરમાં લોહતત્વને મેઇન્ટેન કરે છે, રક્તદાનના આવા અનેક ફાયદા હોય ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 180 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું. સતશ્રી સાથે પધારેલ સર્વ મંગલ સ્વામી સહિતના તમામ સંતો તેમજ તમામ વ્યવસ્થાપક સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું તેમજ અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના હેતલબેન પટેલની પુત્રી દ્રષ્ટિનો જન્મદિવસ હોય એમના તરફથી તમામ રક્તદાતાઓને ગિફ્ટ અર્પણ કરવામાં આવેલ હતી. બ્લડ એકત્ર કરવા માટે સંસ્કાર બ્લડ બેન્ક અને અનસ્ટોપેબલ વોરિયર્સની ટીમે રાત્રે બાર વાગ્યા સુધી ભારે જહેમત ઉઠાવી હતી.






