“બાળ ઉછેર બે હાથમાં” પુસ્તકની 25 હજાર નકલના વેચાણના ઊંચા આંકને આંબવામાં યશભાગી દાતાઓનો ઋણ સ્વીકાર કરાયો
મોરબી : મોરબીની નીલકંઠ વિદ્યાલય ખાતે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા જ્ઞાન, દાન અને સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડો. સતિષ પટેલે લખેલ પુસ્તક “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તકની રેકોર્ડબ્રેક પચીસ હજાર નકલ વેંચાણના ઉંચા આંકને આંબવાના અવસરને વધાવવામાં આવ્યો હતો અને મનાવવામાં આવ્યો હતો જેમાં અગ્રણી ઉદ્યોગકાર અને સમાજ શ્રેષ્ઠી ગોપાલભાઈ ચારોલાએ 1000 બુક સ્પોન્સર કરેલ હોવાથી તેમનું અને તેમના પરિવારનું અદકેરું સન્માન કરાયું હતું તેમજ આ ઉંચા આંકને આંબવામાં જેમને સહયોગ આપેલ છે એવા લોકો જેમાં પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પોતાની ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટમાંથી મોરબી અને માળીયા તાલુકાની 260 જેટલી પ્રાથમિક શાળાઓમાં બબે પુસ્તક અર્પણ કર્યા છે એવી જ રીતે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા મોરબીના આંગણવાડી કેન્દ્રોમાં “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તક આપ્યા છે એવી જ રીતે અનેક સહયોગી દાતાઓએ આ પુસ્તકને ઘર ઘર સુધી પહોંચાડવામાં અદકેરું યોગદાન આપેલ છે.
આ તમામ દાતાઓને ફોટોગ્રાફ તેમજ વિડીયોની ડોક્યુમેન્ટરી દ્વારા સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં દામજી ભગત, આઈ.એમ.એ. મોરબીના પ્રમુખ ડો. દિપકભાઈ બાવરવા, ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ડો. મનુભાઈ કૈલા, કાર્યક્રમના દાતા અને અગ્રણી ઉદ્યોગકાર ડી. એલ. રંગપડીયા, નિલેશભાઈ જેતપરિયા, હરેશભાઇ બોપલીયા, વિનોદભાઈ ભાડજા સહિતના સિરામિક એસોસિએશનના તમામ પાંખના પ્રમુખો અને અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેસીયા વગેરેએ કોમનમેન ફાઉન્ડેશનની આ પ્રવૃત્તિ બાલ ઉછેર બે હાથની આ વિકાસ યાત્રાને અને તમામ દેલર દાતાઓની દાતારીને બિરદાવી હતી.

આ તકે ડો. સતિષભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોરબી જેમ ઉદ્યોગક્ષેત્રે અગ્રીમ હરોળમાં છે એમ સાહિત્ય ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે, નામી લેખકોના પુસ્તકો પણ આ ઉંચાઈ સુધી નથી પહોંચી શકતા ત્યારે મોરબીની સાહિત્યપ્રેમી જનતાએ “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તક વાંચ્યું છે, વાગોળ્યું છે અને વખાણ્યું છે ત્યારે આ પ્રસંગે પુસ્તકને સહયોગ આપનાર તમામ દાનવીર દાતાઓનો આ તકે ઋણ સ્વીકાર કરું છું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા કોમનમેન ફાઉન્ડેશનના મંત્રી એ. આર. ચંદ્રાસલા તેમજ નીલકંઠ વિદ્યાલયના ટ્રસ્ટી જીત વડસોલા અને નવનીત કાસુન્દ્રાએ જહેમત ઉઠાવી હતી.
