ટંકારા : ટંકારાની ન્યુ વિઝન સ્કુલ ખાતે દર્શન યુનિવર્સીટી દ્વારા “ધોરણ 10 પછી શું” વિષય પર સેમિનાર યોજાયો હતો જેમાં ધોરણ 10 પછીના કેરિયર ઓપ્શન વિશે ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજકોટની દર્શન યુનિવર્સીટી દ્વારા ટંકારાની ન્યુ વિઝન સ્કુલ ખાતે “ધોરણ 10 પછી શું” વિષય પર ગઈકાલે તા. 05 મે ને ગુરુવારના રોજ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં દર્શન યુનિવર્સિટીના પ્રોફેસર ચિંતન કાનાણી દ્વારા ધોરણ 10 પૂર્ણ કર્યા બાદ અલગ-અલગ કેરિયર ઓપ્શન વિશેનું ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સરકારી નોકરી, પ્રાઈવેટ નોકરી, બિઝનેસ, પ્રોફેશન તથા ધોરણ 10 બાદ થતા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ પોતાની આર્થિક, શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાને આધારે ગ્રુપ અને કેરિયરનો નિર્ણય કેવી રીતે કરવો એ ચર્ચા પણ કરવામાં આવી હતી. દેશમાં શું બદલાવ આવી રહ્યો છે, ક્યાં ફિલ્ડમાં તકો વધી રહી છે, ભવિષ્યમાં કેવા પ્રકારની તકોનું નિર્માણ થશે સહિતના બધા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ધોરણ 12 સાયન્સ પછી એન્જીનીયરીંગ, મેડિકલ, પેરામેડિકલ, આર્કિટેકચર, એગ્રિકલ્ચર, BSc, ફાર્મસી વગેરે અભ્યાસ્ક્રમોની માહિતી આપવામાં આવી હતી.
આ સેમિનારના અંતે બધા જ વિદ્યાર્થીઓને “ધોરણ 10 પછી શું” ની માહિતી પત્રિકા આપવામાં આવી હતી. આ સેમિનારનું આયોજન વિદ્યાર્થીઓ પોતાની એકેડેમિક અને પ્રોફેશનલ કેરિયરમાં સારી રીતે સફળતા મેળવી શકે તે ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું. આ સેમિનારને સફળ બનાવવા માટે ન્યુ વિઝન સ્કૂલના પ્રિન્સિપાલ દિલીપ બારૈયા અને દર્શન યુનિવર્સિટીના પ્રોફેસર ઉમેશ ઠોરિયા, પ્રોફેસર આશિષ ડોંગા તથા પૂરી ટીમે જહેમત ઉઠાવી હતી.
