મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો ૨૦૦મો જન્મોત્સવ – જ્ઞાન જ્યોતિ પર્વ – સ્મરણોત્સવ – ટંકારા
૦૦૦૦૦
સમારોહ સ્થળ-કરસનજીના આંગણે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ કરતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ યજ્ઞમાં આહુતિ આપી
૦૦૦૦૦
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન દર્શનને ઉજાગર કરતા પ્રદર્શન ખંડની મુલાકાત લઈ મહર્ષિના વિચારો અને સમાજ ઉત્થાનના કાર્યોથી પરિચિત થતાં રાષ્ટ્રપતિશ્રી
૦૦૦૦૦
માહિતી બ્યુરો, મોરબી
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ૨૦૦મા જન્મોત્સવ – જ્ઞાન જ્યોતિ પર્વ – સ્મરણોત્સવની ઉજવણીમાં ભાગ લેવા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ટંકારા પધાર્યા હતા. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ એ સમારોહ સ્થળ-કરસનજીના આંગણા ખાતે નિર્મિત યજ્ઞશાળામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિ અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેવી મંગલકામના વ્યક્ત કરી હતી. આ મંગળ અવસરે કન્યા ગુરુકુલ, વારાણસીના પ્રાધ્યાપકો તથા છાત્રાઓએ મહાનુભાવોએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા.
યજ્ઞમાં આહુતિ આપ્યા પછી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન દર્શનને ઉજાગર કરતા પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી અને મહર્ષિના વિચારો અને સમાજ ઉત્થાનના કાર્યોથી પરિચિત થયાં હતાં. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રપતિ શ્રીમતી શ્રીમતી દ્રોપદી મુર્મુ અને મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રભાઈ પટેલને આ પ્રદર્શન ખંડની વિગતો આપી હતી.
ટંકારા ખાતે ૧૫ એકરમાં નિર્માણ પામનારા જ્ઞાન જ્યોતિ તીર્થની પ્રતિકૃતિના માધ્યમથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આ તીર્થમાં નિર્મિત થનારા સંશોધન કેન્દ્ર, સ્કૂલ, પુસ્તકાલય, રમણીય પરિસર વગેરેની વિગતવાર જાણકારી આપી હતી.
આ પ્રદર્શન ખંડમાં રાષ્ટ્ર નિર્માણ માટે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ ખેડેલા પ્રવાસને નકશાના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન પ્રસંગોને ચિત્રોમાં અને તેમની સાથે જોડાયેલા ઐતિહાસિક સ્મૃતિ સ્થળોને પણ વિગતો સાથે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના નારી શિક્ષા અને મહિલા સશક્તિકરણના વિચારો ઉપરાંત વેદોમાં રહેલા વિજ્ઞાન ઉપર પ્રકાશ ફેંકતા વિચારો વગેરે આ પ્રદર્શન ખંડમાં દર્શાવવામાં આવ્યા છે.












