હળવદ : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરીત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન રાજકોટ દ્વારા શાળાઓમાં ગુણવત્તા અભિવૃદ્ધિ માટે અને શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા વધે એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ માટે તાલીમ વર્ગો અને વર્કશોપનું આયોજન કરવામાં આવે છે એ અન્વયે જીલ્લા શિક્ષણ તાલીમ ભવનના તમામ અધ્યાપકો દ્વારા દર વર્ષે શૈક્ષણિક સંશોધન કરવામાં આવે છે જેના તારણો શિક્ષકો સુધી પહોંચે અને વર્ગમાં અમલ થાય એ માટે સિલેકટેડ રિસર્ચ ફાઈડિંગ શેરિંગ વર્કશોપનું આયોજન હળવદ તાલુકાની પાંડાતીરથ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં મોરબી જીલ્લાના તમામ તાલુકામાંથી સિલેકટેડ 50 જેટલા સી.આર.સી. કો.ઓર્ડીનેટરો તેમજ શિક્ષકોની ઉપસ્થિતિમાં બી.એમ.સોલંકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મીનાક્ષીબેન રાવલ પ્રાચાર્ય ડાયટ રાજકોટ, દીપાલીબેન વડગામા, હમીરભાઈ કાતડ, નિશાડબેન બાબી, પુરોહિતભાઈ લેકચરર ડાયટ રાજકોટ વગેરે અધિકારીઓ દ્વારા વિવિધ રિસર્ચનું શેરિંગ કર્યું હતું અને રોજ બરોજના શિક્ષણકાર્યમાં ઉપયોગ કરવા માટેની સમજ આપી હતી. આ વર્કશોપના આયોજનમાં શાળાના આચાર્ય તેમજ એચ.ટાટ. મુખ્ય શિક્ષક સંઘના મહામંત્રી મુકેશભાઈ મારવણીયાએ વર્કશોપને સફળ બનાવવા માટે સુંદર વ્યવસ્થા પુરી પાડી હતી અને શાળાના તમામ સ્ટાફે ખુબ જ જહેમત ઉઠાવી હતી.