મોરબી : મોરબીનો સીરામીક ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે પરંતુ આ જ સીરામીક ઉદ્યોગ સતત વધી રહેલા નેચરલ ગેસના ભાવવધારાથી પીડાય રહ્યો છે ત્યારે મોરબીના ઉદ્યોગપતિઓએ ગાંધીનગર ખાતે રાજ્યના નાણામંત્રી અને પંચાયત મંત્રીને રૂબરૂ મળીને ગેસના ભાવ ઘટાડવા બાબતે રજૂઆત કરી હતી.
વર્તમાન પરિસ્થિતીમાં મોરબીનો સીરામીક ઉદ્યોગ ભયંકર મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે સીરામીક ઉદ્યોગમાં સપ્લાય થતા નેચરલ ગેસના ભાવ ઘટે એ ખૂબ જ જરૂરી હોવાથી મોરબી સીરામીક એસોસીએસનના પ્રુમખ મુકેશભાઈ કુંડારીયા, ભૂતપૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, કિશોર ભાલોડીયા, કમીટી મેમ્બર અનિલ સુરાણી, પરેશ ઘોડાસરા તેમજ મહેન્દ્રભાઈ ફેફર સહિતનાએ સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે ગાંધીનગર જઈને પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા તથા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને મળીને નેચરલ ગેસના ભાવ ઘટાડવા બાબતે રજુઆત કરી હતી.
રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા સીરામીક ઉદ્યોગમાં હાલ ચાલી રહેલ ભયંકર મંદી વિશે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને અવગત કરાવતા હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને નાણાપ્રધાને હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા ખાતરી આપી હતી.
