ટંકારા : વધુ ગામડાઓ ધરાવતા અને વસ્તી ગણતરીએ મોટા કહી શકાય તેવા ટંકારા તાલુકામાં કીડની સંબંધિત રોગો માટે ડાયાલિસિસ સેન્ટરની ખાસ જરૂર હોય આ બાબતે ટંકારા તાલુકામાં ડાયાલીસીસ સેન્ટર આપવા તેમજ ડોકટરો ફાળવવા ટંકારા તાલુકા શહેર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં કીડની સંબંધી રોગો માટે ડાયાલીસીસ સેન્ટર શરુ કરવું ખાસ જરૂરી છે. હાલ ટંકારાના લોકોને મોરબી કે રાજકોટ જવાની ફરજ પડે છે જેથી ટંકારા તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર શરુ થાય તો દર્દીઓને રાહત મળશે અને રાજકોટ જવા આવવામાં રાહત મળશે. હાલ મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે પણ સેન્ટર શરુ થઇ ચુક્યું છે ત્યારે ટંકારા તાલુકામાં પણ વહેલી તકે ડાયાલીસીસ સેન્ટર આપવામાં આવે ઉપરાંત ડોક્ટરોની પણ સુવિધા મળે તેવી માંગ કરવામાં આવી છે.