ટંકારા : હિન્દુ ધર્મમાં અખાત્રીજનું એક આગવું મહત્ત્વ છે. આ દિવસે વણજોયું મુર્હૂત હોય યોગ, ગ્રહ, નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી નથી. આથી જ અખાત્રીજના પાવન દિવસે સૌથી વધુ યુગલો લગ્નગ્રંથિથી જોડાતા હોય છે ત્યારે ટંકારાના સરદાર લેઉવા પાટીદાર સમાજ, યુવા સમિતિ અને મહીલા સમિતિ દ્વારા અખાત્રીજની પાવન સંધ્યાએ તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહલગ્નમાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ રોશનીથી ઝળહળી ઉઠયું હતું અને અખાત્રીજના દિવસે 10 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા.
ટંકારા તાલુકાના લેઉવા પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે યોજાતા સમુહ લગ્નમાં અખાત્રીજના દિવસે તૃતીય સમૂહ લગ્નોત્સવ રાજકોટ મોરબી રોડ પર આવેલા દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે સાથે 10 યુગલોને લગ્નગ્રંથિથી જોડીને યોજાયો હતો. આ સમૂહલગ્નના આચાર્ય પદે ભાગવત કથાકાર શાસ્ત્રી દિપકભાઈ પંડ્યા રહ્યા હતા જેમાં મંગલ ફેરા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ તકે જીલ્લામાંથી રાજકીય, સામાજિક અને ઉધોગપતિઓએ પણ એક જ પંગતે બેસી સમુહલગ્ન માણ્યા હતા.

