હળવદની મહર્ષિ ગુરુકુળ ખાતે આજરોજ શુક્રવારે વાર્ષિકોત્સવ ૨૦૨૨ “અમે છૈયા” ઉજવવામાં આવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે ખુબ જ મોટુ નામ ધરાવતી હળવદની મહર્ષિ ગુરુકુળ ગુજરાત ભરમાં વિખ્યાત છે. આ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ અલગ અલગ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે અને અભ્યાસ કરેલ વ્યક્તિ કોઈને કોઈ ક્ષેત્રે આગળ છે ત્યારે કોરોના કાળમાં વિદ્યાર્થીઓ બે વર્ષ સુધી અભ્યાસથી વંચિત હોવાથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું અને ઓનલાઈન શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓએ અવ્વલ નંબર પર આગળ રહી મહર્ષિ ગુરુકુળનું નામ રોશન કર્યું છે.
વિદ્યાર્થીઓની હાલ વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ છે અને વિદ્યાર્થીઓને ભણતરનો ભાર ન લાગે એ માટે મહર્ષિ ગુરુકુળ હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે ત્યારે આજરોજ શુક્રવારે પરીક્ષાઓ પુર્ણ થતાં જ વાર્ષિકોત્સવ “અમે છૈયા” ઉજવાયો હતો જેમાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ગીતો સાથે ખુબ સુંદર પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું ત્યારે મહર્ષિ ગુરુકુળનું પટાંગણ નાના બાળકોના મધુર કલરવથી રંગીન બન્યું હતું અને બાળકોની કિલકારીઓથી મહર્ષિ ગુરુકુળમાં વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મહર્ષિ ગુરુકુળના એમ.ડી રજનીભાઇ સંઘાણી, રાજેશભાઈ ચનિયારા, અશોકભાઈ ગેલોત, કલ્પેશભાઈ ગઢીયા તેમજ દરેક ફેકલ્ટીના તમામ સ્ટાફ મીત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.
(અહેવાલ : ભાવિષ જોષી – હળવદ)



