117 વર્ષ જૂનાં લખાણ સાથેના રઘુવંશના ઇતિહાસ સંબંધી પુસ્તકનું વિમોચન.
અયોધ્યામાં રામલલ્લા મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવદિને અહીંના લોહાણા સમાજના પ્રમુખે 117 વર્ષ અગાઉના લખાણ સહિતના રઘુવંશના ઇતિહાસ સંબંધી પુસ્તક `શ્રી રામને અર્પણ’ સમાજને અર્પણ કર્યું હતું. બે હજાર વર્ષ જૂનો રઘુવંશનો ઇતિહાસ છે અને 117 વર્ષ અગાઉ સામાજિક ઉત્તરદાયિત્વના નિચોડ સમા લખાયેલા પત્રને પુસ્તક સ્વરૂપે આમ સમાજ સમક્ષ મૂકવા તેનું વિમોચન કરતાં હું હર્ષ અનુભવું છું તેવી લાગણી ભુજ લોહાણા મહાજન પ્રમુખ ડો. મુકેશ ચંદેએ વ્યકત કરી હતી. અખિલ કચ્છ લોહાણા મહાજનના પ્રમુખ સુરેશભાઇ ઠક્કરે આવા અન્ય અલભ્ય પત્રો હસ્તગત કરવાનું આહ્વાન કર્યું હતું. સમાજના ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કરે આ પુસ્તકમાં સમાવિષ્ટ જૂના પત્રના લેખક ડો. ભવાનજી કનકશી ઠક્કર કે જેઓ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મહેસૂલમંત્રી પ્રેમજીભાઇ ઠક્કરના પિતા થાય. તેવા ઉચ્ચ અભ્યાસ ધરાવતા આ પરિવાર તરફથી જ્ઞાતિ ઇતિહાસમાં રુચિ બતાવવામાં આવી છે તે બદલ હર્ષ વ્યકત કરીને તેમણે જ્ઞાતિ ઇતિહાસ એકત્ર કરવા સમાજને અપીલ કરી હતી. આ પુસ્તકમાં સમાવિષ્ટ વિગતોનો સાહિત્યિક ભાષામાં અજિતભાઇ માનસતાએ રસાસ્વાદ કરાવ્યો હતો. પુસ્તકમાં રઘુવંશના ઇતિહાસનો પાયો હોવાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, રઘુવંશીઓ ક્ષત્રિય સમુદાયમાંથી આવેલા લોકોનો સમૂહ છે. તેઓ બ્રાહ્મણ વર્ણની જેમ જનોઇ પણ ધારણ કરતા અને ઠરીઠામ થઇને ધંધો કરતા. તેમનો વંશવેલો 20 જેટલાં પુસ્તકોમાં ભાટ સમુદાયના બ્રાહ્મણો પાસે ઉપલબ્ધ હોવાનો દાવો પુસ્તકમાં હોવાનો એકરાર કર્યો હતો. આ વિગતોનું સંકલન ડો. ભવાનજીભાઇના પૌત્ર મધુકર પ્રેમજી ઠક્કર દ્વારા કરાયું છે. આ વિમોચનવિધિમાં મંત્રી હિતેશભાઇ ઠક્કર, ખજાનચી મૂળરાજભાઇ ઠક્કર, સહમંત્રી સંજયભાઇ ઠક્કર, ડો. પ્રફુલ્લાબેન ભીંડે, નીતિન ઠક્કર, પ્રફુલ્લ ઠક્કર, હરસુખભાઇ ગોવિંદજી ઠક્કર, કોમર્શિયલ બેન્કના ચેરમેન ધીરેનભાઇ ઠક્કર, ડાયરેક્ટર ગૌતમ શેઠિયા, જયંત ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.





