(મહેશ ચાવડા દ્વારા) મોરબીના શનાળા ગામ ખાતે ઉમિયા ગેટ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર સંચાલિત સરસ્વતી વિદ્યાલયના શિક્ષિકા બહેનો પૂજાબહેન મોરડીયા તથા હેતલબહેન વ્યાસને ગત સોમવારે શનાળા ગામ પાસે રોડ પરથી અંદાજે રૂપિયા 70,000ની કિંમતની સોનાની કંઠી મળી આવેલ હતી. શિક્ષકોએ તુરંત જ આ કંઠીને પોતાની પાસે રાખવાને બદલે તેના મૂળ માલિકને શોધી પરત આપી દેવાનો નિર્ણય લઈ કંઠી સ્કૂલમાં જમા કરાવી આપેલ હતી.
ત્યારબાદ સતત ત્રણ દિવસ સુધી સાર્થક વિદ્યામંદિર શનાળાના તમામ શિક્ષકો તથા સંચાલકોએ કંઠીના મૂળ માલિકને શોધવા સઘન પ્રયાસો હાથ ધરેલ. આખરે આ દાગીનાના મૂળ માલિકની ઓળખ મળતા બીજા દિવસે જ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તેમને સ્કૂલે બોલાવીને બધા આધાર પુરાવાઓ ચકાસી કંઠી તેના મૂળ માલિકને પરત કરેલ છે.
શનાળાના જ નિવાસી રામજીભાઈ શિરવી તથા તેમના પુત્ર રજનીભાઈ શિરવીએ પોતાની ખોવાયેલી કંઠી પરત મળી જતાં રાહતનો શ્વાસ લીધો હતો અને શાળા પરિવાર તથા કંઠી પરત કરનાર બહેનનો આભાર વ્યક્ત કર્યો હતો અને શિક્ષકોની પ્રામાણિકતાને બિરદાવતા રોકડ રકમ પણ શાળાના બાળકોને શૈક્ષણિક ઉપયોગ માટે અર્પણ કરેલ. આ તકે સાર્થક વિદ્યામંદિર શાળા પરિવાર દ્વારા શિક્ષિકા બહેનોનું સન્માન પણ કરવામાં આવેલ અને શાળાના સંચાલક નીરવભાઈ માનસેતાએ શિક્ષિકા બહેનોને પ્રામાણિકતા બતાવી એક આદર્શ શિક્ષકનું ઉદાહરણ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.