દ્વારકા યાત્રાધામ દ્વારકાના બેનમૂન આકર્ષણ સમા સુદામા સેતુને આશરે દોઢ વર્ષ પૂર્વે સુરક્ષા કારણોસર બંધ કરાયા બાદ હજુ સુધી યાત્રીકો માટે ખુલ્લો મૂકાયો નથી.દ્વારકા હોટલ એસોસીએશન દ્વારા સુદામા સેતુને પુનઃ યાત્રીકો માટે શરૂ કરવા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરાઈ છે.ગત ઓકટોબર 2022 ની સાલમાં સુરક્ષા કારણોસર રીપેરીંગ કરવા સબબ બંધ કરાયેલા ગોમતી ઘાટ અને પંચનદ તીર્થને જોડતાં બેજોડ આકર્ષણ સમા સુદામા સેતુને આજદિન સુધી ખૂલ્લો મૂકાયો ન હોય જેના કારણે યાત્રીકોને તીર્થક્ષેત્રમાં આ પ્રવાસન સ્થળનો લાભ આશરે દોઢ વર્ષથી મળતો નથી. સુદામા સેતુ બંધ રહેવાને કારણે પંચનદ તીર્થ પર આવેલાં ધાર્મિક સ્થળો
તેમજ બેનમૂન બીચનો નઝારો મહદંશે પ્રવાસીઓને મળતો નથી. પાંચ પાંડવોની દ્વારકા મુલાકાત દરમ્યાનના સંસ્મરણો તેમજ પંચ ઋષિઓના દરીયાના ખારા પાણી વચ્ચે આવેલ મીઠા પાણીના કુવાઓ જેવા પ્રવાસન સ્થળોની મુલાકાતથી દર્શનાર્થીઓ વંચિત રહી જાય છે.હાલમાં દ્વારકામાં લગભગ બારેમાસ સીઝન જેવી સ્થિતિ હોય જન્માષ્ટમી, નાતાલ,દિવાળી, હોળી, ફુલડોલ, સહિતના તહેવારોમાં તો લાખો ટુરીસ્ટ આવતાં હોય ત્યારે દ્વારકામાં કૃષ્ણ અને સુદામાના મીલન આધારિત થીમ પર બનાવાયેલ જગતમંદિર પછીના પ્રમુખ આકર્ષણો પૈકીના એકએવા સુદામા સેતુને પુનઃશરૂ કરવાથી યાત્રીકોને તીર્થક્ષેત્રોની મુલાકાત, બીચ વીઝીટમાં સરળતા રહે તેમ હોય તેમજ વર્ષે લાખોની આવક કરતા સુદામા સેતુને મરમ્મતની કામગીરી તુર્તમાં પૂર્ણ કરી યાત્રીકોને આ સુવિધા પુનઃ પ્રદાન કરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.





