મોરબી-માળિયા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ પટેલ દ્વારા પરીવર્તન યાત્રા યોજી લોક સંપર્ક કરવામાં આવ્યો
મોરબી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે દિવસે ને દિવસે નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ સીટ કબ્જે કરવા પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં મોરબી-માળીયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા પરીવર્તન યાત્રા યોજી લોકસંપર્ક કરવામાં આવ્યો હતો.

આજે સવારે મોરબી શહેરના નહેરુ ગેટ ચોક થી શરૂ કરી ને જુના મોરબી સાહિતના વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા યોજી હતી. જેમાં કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા લોકોની સમસ્યાઓ અંગે માહિતી મેળવી અને કોંગ્રેસની સરકાર બનશે એટલે તમામ સમસ્યાનું નિવારણ લાવવામાં આવેશે તેમ વચન આપ્યું હતું તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા મોરબી માળીયા સીટ પર કોંગ્રેસ બહુમતીથી જીતી વિજય મેળવશે એવો વિશ્વાસ જતાવ્યો હતો.

વધુમાં જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષને વિજય બનાવવા અમે લોકોનું સમર્થન માંગી રહ્યા છીએ. હાલ લોકોમાં પરીવર્તનનો માહોલ ઊભો થયો છે. અને લોકો તેમનું ઉમેળકાભેર આવકારી સ્વાગત કરી રહ્યા છે. તેમજ લોકો કોંગ્રેસને અને મને વિજયી બનાવવાનો કોલ આપી રહ્યા છે. જયારે તેઓએ ભાજપ પર સકંજો કસતા જણાવ્યું હતું કે, અમારું મોરબી ભાજપે નહિ પરંતુ અમારા વાઘજી ઠાકોરે બનાવ્યું છે. અમને એક સમયે ગુજરાતનું પેરિસ નામ આપવામાં આવ્યું હતું. પરંતુ આ ભાજપની સરકારે મોરબીને સ્વર્ગમાથી નર્ક બનાવી દીધુ છે. હાલના સમયમાં તમે જોઈ રહ્યા છો ભાજપના લીધે મોરબીની દુર્દશા થઇ છે. અને હવે તો લોકો પણ કોંગ્રેસ ઇચ્છી રહ્યા છે અને પરીવર્તન ઈચ્છી રહ્યા છે.






