મોરબી જિલ્લામાં લઘુતમ વેતનધારો અમલી બનાવવાની માંગ સાથે બહુજન સામાજિક ટ્રસ્ટ મોરબી અને મજુર અધિકાર મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખાસ કરીને હાલમાં ખેત શ્રમિકોને ભાગીયા પદ્ધતિથી કામ કરાવાતું હોય આ પદ્ધતિ પણ બંધ કરાવવા માંગ ઉઠાવી હતી.
મજુર અધિકાર મંચ તથા બહુજન સામાજિક ટ્રસ્ટ મોરબી સુનિલ ભાઈ ચાવડા, પિન્ટુ સોલંકી, સામાજિક અગ્રણી મૂળજીભાઈ સોલંકી અને ટંકારા ડેપ્યુટી સરપંચ હેમંતભાઈ ચાવડા સહિતના આગેવાનોએ આજે જિલ્લા કલેકટર મોરબીને લેખિત આવેદનપત્ર પાઠવી ખેત શ્રમિકો, ઈટોના ભથ્થામાં કામ કરતા શ્રમિકો તેમજ અન્ય શ્રમિકો માટે સરકારના 3-3-2021ના અમલી બનાવાયેલ લઘુતમ વેતનધારો અમલી બનાવવા માંગ ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત બન્ને સંસ્થાઓ દ્વારા હાલમાં મોરબી સહિત જિલ્લામાં ખેતીવાડી ક્ષેત્રે ખેતમજૂરોને અને ખાસ કરીને આદિવાસી શ્રમિકોને ભાગીયા પદ્ધતિથી કંકરાવી શોષણ કરાતું હોવાનો આરોપ લગાવી ખેત શ્રમિકોને યોગ્ય વળતર મળે તેમજ લઘુતમ વેતનધારાનો અમલ થાય એવા પગલાં ભરી ખેતી કરતા શ્રમિકોના નામે ખેતીની જમીન થાય તેવા પગલાં ભરવા માંગ કરી હતી.





