મોરબી : કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયેલા તેમજ સ્વચ્છ છબી ધરાવનાર હળવદ સુરેન્દ્રનગરના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાના પત્નીની તાજેતરમાં જ ત્રાજપર ગ્રામપંચાયતની ચૂંટણીમાં હાર થઈ હતી ત્યાર બાદ જીતેલા સરપંચ પણ સસ્પેન્ડ થયા હતા જે મુદ્દો હજુ તાજો જ છે ત્યાં ધારાસભ્ય સાબરીયાના પત્ની જે ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચ હતા ત્યારે ત્રાજપર વિસ્તારમાં ઘરથાળનો પ્લોટ પચાવી પાડ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે જીલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ થતાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
મોરબીના ત્રાજપરમાં રહેતા હનુભા લખમણભાઈ, રાઘુભાઈ મેરૂભાઈ અને બાઘુભાઈ મેરૂભાઈએ જીલ્લા કલેક્ટરને લેખિત અરજી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, ત્રાજપર ગામમાં તેના પિતાને સરકાર દ્વારા ઘરથાળનો પ્લોટ ફાળવવામાં આવ્યો હતો પરંતુ ત્રાજપર ગામમાં સરપંચ તરીકે જશુબેન પરષોત્તમભાઇ સાબરીયા આવ્યા ત્યારે તેઓએ તેમના પિતાની મિલકત ઘરથાળના પ્લોટમાં જાહેર રસ્તો બનાવીને તેની મિલકત પચાવી પાડી છે. તેઓએ જે તે વખતે મિલકતના આધાર પુરાવા પણ બતાવ્યા હતા પરંતુ જશુબેને હકીકત ધ્યાને લીધી ન હતી. જશુબેને તેમના પતિ ધારાસભ્ય હોવાથી તેની વગના આધારે પ્લોટમાં જાહેર રસ્તો બનાવીને મિલકત હડપ કરી લીધી હતી જેથી જશુબેન સાબરીયાએ જે તે વખતે સરપંચના હોદાનો દુરુપયોગ કરીને તેઓના પિતાના ઘરથાળના પ્લોટ ઉપર રસ્તો બનાવીને તેની મિલકતમાં દબાણ કરેલ હોવાથી જશુબેન સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.