Tuesday, March 17, 2026

મોરબીના વાંકાનેર ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથેની ઉજવણી અમરસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વાંકાનેર ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથેની ઉજવણી અમરસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના પ્રભારી અને ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમે ધ્વજવંદન કરી, તિરંગાને સલામી આપી હતી તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

આ તકે ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમે જણાવ્યું કે, આપણે સમગ્ર વર્ષ દરમિયાન ‘આઝાદી અમૃત મહોત્સવ’ હેઠળ વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરી છે. ૧૩ ઓગસ્ટથી આજ સુધીના ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલાં આહવાનને પગલે આપણાં ઘર, કચેરી, વ્યવસાયિક એકમો, ઔદ્યોગિક સાહસો એમ દરેકે – દરેક જગ્યાએ તિરંગો લહેરાવીને ભારત માતા તેમજ તિરંગાનું સન્માન કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતને પહેલા ઉપેક્ષિત નજરે જોવામાં જોવામાં આવતું હતું. આજે વિશ્વ ભારતને સન્માનની નજરે જોઈ રહ્યું છે. વિકસિત ભારતના એક નવા આયામ સાથે એક ભારત – શ્રેષ્ઠ ભારતના મહામંત્રને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રાષ્ટ્રના વિકાસની ગતિને બમણાં વેગથી આગળ ધપાવી રહ્યાં છે.

પ્રવાસન ક્ષેત્રની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ટુરિઝમનું હબ બન્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી, રણોત્સવ વગેરેએ ગુજરાતને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે. ગિરનાર રોપ વે, પાવાગઢ ધ્વજારોહણ વગેરેનો પણ મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.

મંત્રીએ એર એમ્બ્યુલન્સ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, માં અમૃતમ યોજના વગેરે દ્વારા આરોગ્ય વિભાગ હેઠળ થયેલી કામગીરીની પણ છણાવટ કરી હતી.વધુમાં ૪૬ રોજગાર કચેરીઓ દ્વારા રોજગારીના સર્જનમાં પણ ગુજરાત અગ્રેસર છે તેમ જણાવ્યું હતું.

પ્રત્યેક ખેડુતની આવક બમણી થાય તથા દરેક ખેતરે હરિયાળી લહેરાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવી રાજ્ય સરકારના દૂરદર્શી અભિગમને કારણે છેલ્લાં બે દાયકાથી ગુજરાતનો કૃષિ વિકાસ દર સતત વધી રહ્યો છે તેમ ઊમેર્યું હતું. ગુજરાતમાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ઉપર વિશેષ ઝોક આપવામાં આવ્યો છે અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટે તે દિશાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યાં છે.

ગાંધીજીના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી ગામડાઓનો વિકાસ કરવા ગામમાં પણ પાકા રસ્તા, શૌચાલયની સુવિધા, ૨૪ કલાક વીજળી આપીને શહેરો જેવાં બનાવ્યાં છે. રાજ્યમાં સ્માર્ટ સિટી વિકસિત થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સેવા સેતુના ઉપક્રમથી બે કરોડ લોકોને ઘર આંગણે સેવા પૂરી પાડી છે.

વન અધિનિયમ હેઠળ જમીન અને વન સંપ્રદાયના અધિકાર આદિવાસીઓને મળ્યા છે. છેવાડાના માનવીને પણ વિકાસની આ મહાયાત્રામાં સાંકળી લેવામાં આવ્યા છે‌. મહેસૂલી સેવા ઝડપી અને અસરકારક બનાવવામાં આવી છે. લેન્ડગ્રેબિંગનો કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. ઈ- એફ.આર.આઇ., સી.સી.ટી.વી., વિશ્વાસ પ્રોજેક્ટ વગેરે થકી ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહી છે.

સિંચાઈ ક્ષેત્રે ગુજરાતે પાણીદાર કાર્ય કરી બતાવ્યું છે. વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છમાં નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફૂટ પાણી પહોંચાડી કચ્છની ધરાને નવપલ્લવિત કરી છે.૩૬ મી નેશનલ ગેમ્સ ગુજરાતમાં રમાય તે માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

આ પ્રસંગે મંત્રીના હસ્તે વિકાસકાર્યો માટે રૂા. ૨૫ લાખનો ચેક વાંકાનેર પ્રાંત અધિકારી શેરશિયાને એનાયત કરવામાં આવ્યો હતો.

આ ઉજવણીમાં એન.સી.સી કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ હતી. શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી.

આ પ્રસંગે મંત્રીએ મોરબી જિલ્લાના રમતગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ખેલાડીઓનું સન્માન કર્યુ હતું અને કોરોના વાયરસ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ કોરોના વોરિયર્સનું ઉપરાતં અગ્રણી સ્વયંસેવકો, મહેસૂલ, પોલીસ, આરોગ્ય, ૧૦૮ એમ્બ્યુલન્સ, પંચાયત તથા શિક્ષણ વિભાગના કર્મચારીઓની પ્રશંસનીય સેવાને સન્માનીત કરી બિરદાવી હતી. ધ્વજવંદન બાદ મંત્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, વન વિભાગના ચિરાગ અમીન, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, દુર્લભજીભાઇ દેથરીયા, વાંકાનેર રાજવી પરિવારના કેશરીદેવસિંહજી, વાંકાનેર પ્રાંત અધિકારી શેરશીયા, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, જિલ્લાના પદાધિકારી/અધિકારીઓ, જિલ્લાના નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Articles

Total Website visit

1,597,989

TRENDING NOW