ઉદ્યોગોની પ્રગતિની સાથે શ્રમિકોની સલામતિ પણ જરૂરી છે : મંત્રી બ્રિજેશ મેરજા

મોરબી : 51 મા રાષ્ટ્રીય સલામતિ સપ્તાહ નિમિત્તે મોરબી સીરામીક એસોસીએશન હોલ, લાલપર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ગુજરાત રાજયના પ્રથમ સેવિયર સુરક્ષા રથને પ્રસ્થાન કરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે આપણું રાજય ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. રાજયના ઔદ્યોગિક વિકાસમાં ખુબ પ્રગિત થઇ રહી છે. ઉદ્યોગોની પ્રગતિની સાથે સાથે શ્રમિકોની સલામતિ પણ એટલી જ જરૂરી છે. તેમણે માનવ જીવનના દરેક ક્ષેત્રે સલામતિ ખુબ જ આવશ્યક હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતું કે જુદા જુદા ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોએ પણ સલામતિ અંગેની જાણકારી રાખવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જિલ્લાના બાકી રહેલા ગામોને પણ સિંચાઈનું પાણી સરળતાથી મળી રહે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે ગુજરાત રાજયના પ્રથમ સેવિયર સુરક્ષા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા સોર સેફટી ઇન્ડીયાના નિયામક નીશીથ દંડ અને ઔદ્યોગિક સેફટી એન્ડ હેલ્થના નિયામક પી.એમ. શાહે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સ્વાગત પ્રવચન નિલેશભાઇ જેતપરીયાએ કર્યું હતું. આ પ્રસંગે જુદાજુદા એસોસીએશનના પ્રમુખો વિનોદભાઈ ભાડજા, કીરીટભાઈ પટેલ, હરેશભાઈ બોપલીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, પદાધિકારી-કર્મચારી સહિત બહોળી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતાં.