બ્રહ્માકુમારીઝની પૂર્વ મુખ્ય પ્રશાસિકા પ્રકાશમણીજીની ૧૫મી પુણ્યતિથિએ શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ
આધ્યાત્મિક જ્ઞાનથી ભરપૂર, આધ્યાત્મિક વિશ્વનું અણમોલ રત્ન, શસક્ત મહિલા તરીકે હજ્જારો મહિલાઓને પોતાની દિવ્ય શક્તિઓથી શસક્ત બનાવવા આજીવન કાર્યરત રહેલ દાદી પ્રકાશમણિજીએ ૧૪૩ દેશોના ભાઈબહેનોને પણ નૈતિક મુલ્યોના શિક્ષણથી આધ્યાત્મિક સેવાઓમાં કાર્યરત કરેલ. માત્ર ૧૪ વર્ષની નાની ઉંમરે જ આધ્યાત્મિક રંગે રંગાઈને શિવપિતાના આદેશથી પોતાનું સમગ્ર જીવન બ્રહ્માકુમારીઝના ઋદ્ર જ્ઞાન યજ્ઞમાં સમર્પિત કરી ૫,૦૦૦ થી વધુ યુવા-મહિલાઓને આધ્યાત્મિક શિક્ષક તરીકે તૈયાર કરવામાં તેમણે પ્રમુખ ભૂમિકા ભજવી હતી. આ મહાન વિભૂતી દાદીજીએ તેમના નેતૃત્વમાં આંતરરાષ્ટૃય શાંતિ વર્ષમાં મિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલની વિશ્વભરમાં શ્રેષ્ઠ કામગીરી બજાવી. આંતરરાષ્ટ્રિય યુવા વર્ષમાં યુવા ઉત્સવો, યુવા પદયાત્રાઓ, આંતરરાષ્ટ્રિય મહિલા વર્ષમાં મહિલા જાગરણ અભિયાન અને સંમેલનો તેમજ આંતરરાષ્ટ્રિય સાક્ષરતા વર્ષમાં અનેક સાક્ષરતા અભિયાનોનું સફળ નેતૃત્વ કર્યું. વિશ્વ બંધુત્વના કાર્ય માટે મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંદિગઢ, કર્ણાટક, ઓરીસા, પંજાબ વગેરે રાજ્યોએ મેડલો અર્પણ કરી રાજકીય સન્માનથી વિભૂષિત કર્યા. વિશ્વના પાંચ મહાદ્વિપોમાં ‘પવિત્રતા દ્વારા વિશ્વશાંતિ’ કાર્યક્રમોમા પ્રભુસંદેશ દ્વારા સમાજીક, રાજકીય પ્રમુખ નેતાઓ અને ધર્મ નેતાઓને પ્રભાવિત કર્યા. માતૃસ્વરૂપ અને સર્વમાં આદરણીય દાદીજીનો જન્મ સને ૧૯૨૨માં અવિભાજીત ભારતના સિંધપ્રાન્તના હૈદરાબાદ ખાતે થયો હતો. આધ્યાત્મિક જીવનની લાંબી સફરમાં તેમણે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલયના મુખ્ય પ્રશાસિકા તરીકે સફળ નેતૃત્ત્વ પ્રદાન કર્યુ. મધુર દાદીજીનો દેહાંત તા.૨૫ ઓગસ્ટ-૨૦૦૭ના રોજ થયો અને સ્વર્ગીય પવિત્ર સૃષ્ટિના નિર્માણ માટે તેમની દિવ્યાઆત્માએ અવ્યક્ત યાત્રા તરફ પ્રયાણ કર્યું. આ મહાન વિભુતિને આજની પૂણ્યતિથિએ લાખ્ખો બ્રહ્માવત્સો અને દેશ વિદેશના મહાનુભાવો નમન સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરેલ.

ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં સેકટર.૨૮ ખાતે આવેલ બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર ખાતે પણ ૧૫મા સ્મૃતિ દિવસ પ્રસંગે પ્રકાશપુંજ દાદીજીની આત્માને વિશેષ ભોગ અર્પણ કરવામાં આવેલ. સંચાલિકા આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજીએ દાદીજીની જીવન ઝરમર સંભળાવી દાદીજીના ગુણો અને વિશેષતાઓને પોતાના જીવનમાં ધારણ કરી સાચી શ્રધાંજલિ આપવા હાંકલ કરેલ.આ પ્રસંગે હજારો બ્રહ્માવત્સોએ દાદીજીને શ્રધ્ધાસુમન અર્પણ કરી શ્રધાંજલિ આપેલ.





