વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક ગતરાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ અચાનક એક ઈકો કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર કુવામાં ખાબકી હતી જેમાં એક જ પરિવારની બે મહિલા અને બે બાળકો સહિત ચારનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતાં. બનાવ બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જે બાદ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રતિભાઈ ભવનભાઈ પ્રજાપતિ (ઉ.વ. 69) અને તેમનો પરિવાર દિવાળીની રજાઓમાં સોમનાથ-દ્વારકા બાજુ ફરવા માટે પોતાના ઘરેથી ઇકો કારમાં નિકળેલ હોય જે બાદ ગઈકાલે તેઓ વાંકાનેર થઇ પોતાના ગામ મકનસર સંબંધના ઘરે જઈ રહ્યા હોય દરમ્યાન તેમની ઈકો કાર નં.GJ1-HZ-1453 ના ચાલકને વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક ઝોકું આવી જતા ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી અને રોડની બાજુમાં આવેલ પાણી ભરેલા કુવાની અંદર કાર ખાબકી હતી.
આ અકસ્માતમાં કારચાલક, પરિવારના મોભી રતિભાઈ તેમજ તેનો દીકરો દિનેશભાઈ પ્રજાપતિ આગળના ભાગે બેઠેલા હોય તેઓ કોઈ રીતે કારમાંથી બહાર નીકળી ગયા હતા પરંતુ કારની પાછળનો દરવાજા ન ખુલતા કારમાં પાણી ભરાતા કારમાં બેઠેલ રતિભાઈના પત્ની મંજુલાબેન રતીભાઈ પ્રજાપતિ (ઉવ. 60), પુત્રવધૂ મીનાબેન દિનેશભાઈ પ્રજાપતિ (ઉવ.43) અને બે પૌત્ર આદિત્ય(ઉ.વ.16) અને ઓમ (ઉ.વ.7)ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.