સરકારની ગાઇડલાઇન અનુસાર મર્યાદિત મહેમાનોની ઉપસ્થિતિ વચ્ચે લગ્નો યોજાયા
ટંકારા: સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ટંકારા દ્વારા દર વર્ષે સમાજના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે તેમજ સમય અને માનવશકિતના બચાવને ધ્યાને લઇ સમૂહલગ્નનુ આયોજન કરે છે. આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઇ તેમજ આશિંક લોકડાઉન હોવાને કારણે સમૂહલગ્ન થઇ શકે તેમ ના હોય ત્યારે લગ્ન ઇચ્છુંક ૪૪ દિકરીઓને પોતાના જ આંગણે કોરોનાની ગાઇડ લાઇન મુજબ ગુજરાત સરકાર ના પોર્ટલ પર નોંધણી કરાવી ૨૫-૨૫ લોકોની મર્યાદા મહેમાનોની ઉપસ્થિતિ વચ્ચે લગ્ન કરાવી આપ્યા.
કન્યાઓને ૫૯ વસ્તુઓ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા તેમજ દાતાઓના સહયોગથી લાખેણો કરિયાવર દિકરીઓને ભેટમાં આપવામાં આવ્યો હતો. સુખી સંપન્ન પરિવાર અને સંસ્થાના માનદમંત્રી સંજયભાઈ ડાકાએ પણ પોતાની ભત્રીજાના લગ્ન આજ દિવસે નિર્ધાયા તેમજ સોશ્યલ ગ્રુપ દ્વારા આપવામાં આવતો કરિયાવર પણ ન લઇ સમાજમાં ઉતમ દાખલો બેસાડ્યો હતો. લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનોએ કોરોનાની પરિસ્થિતિને સમજીને મર્યાદિત સંખ્યામાં વિધિ વિધાન પ્રમાણે દિકરીઓને સાસરે વળાવી માતા-પિતાએ પોતાની જવાબદારી પુરી કરી સાથે સગા સ્નેહીજનોના આરોગ્યની જાળવણીની પણ ચિતાં કરી હતી.
કરિયાવર સમિતિ હરીપર (ભુ) દ્વારા લોકડાઉનના સમયમાં પણ કરિયાવર ખરીદી કરી અને દિકરીઓને ઘર સુધી વિતરણ થાય તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે પણ દિકરીઓના આંગણે લગ્ન કરાવી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપે પોતાનુ સામાજિક દાયિત્વ નિભાવ્યું ત્યારે ગ્રુપના સર્વે હોદેદારોએ પ્રસંશનીય કામગીરી કરી તે બદલ તેવો પણ અભિનંદન ને પાત્ર છે.