જામનગરના ત્રણ વ્યક્તિને હૃદયરોગનો આવ્યો હુમલોઃ યુવાવર્ગમાં ચિંતા પ્રસરી
જામનગરના એક વેપારીએ બાયપાસ સર્જરી કરાવ્યા પછી હોસ્પિટલમાંથી રજા મેળવી હતી. ઘેર પહોંચ્યા પછી બે કલાકમાં તેઓને બીજો હુમલો આવી જતાં તેમનું મૃત્યુ થયું છે. એક કોર્પોરેટરના પિતરાઈ ભાઈને પણ હૃદયરોગ ભરખી ગયો છે, અન્ય એક વેપારીને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ થયું છે.
જામનગરના ૫ંચવટી પાસે ગૌશાળા વિસ્તારમાં વસવાટ કરતા જીતેન્દ્રભાઈ બાબુલાલ કછેટીયા (ઉ.વ.૪૬) નામના વેપારીને થોડા દિવસ પહેલા હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેથી આ વેપારીએ બાયપાસ સર્જરી કરાવવી પડી હતી. તે પછી રજા મળતા જીતેન્દ્રભાઈને ઘેર લાવવામાં આવ્યા હતા. તે દરમિયાન ફરીથી તેઓને હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં તેમનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના સુભાષ શાક માર્કેટ રોડથી દરબારગઢ વચ્ચે દુકાન ચલાવતા હિરલભાઈ જગદીશભાઈ મહેતા નામના વેપારીને પણ હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં સોનીકામ કરતા મનિષભાઈ મોનાણી નામના પ્રૌઢને ગઈકાલે સવારે હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવી ગયો હતો. તેઓને તરત જ જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓને બચાવી શકાયા નથી. મૃતક નગરસેવક ધીરેનભાઈ મોનાણીના પિતરાઈ ભાઈ થતા હતા. ગણતરીની કલાકોમાં ત્રણ વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મૃત્યુ નીપજતા ચકચાર જાગી છે.





