આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામદુધઈ ગામે લગ્ન પ્રસંગમાં પણ પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. અને લગ્નપ્રસંગ પણ દેશ ભક્તિના માહોલમાં રંગાઇ ગયો હતો.
જેમાં જામદુધઈ ગામના વસંતભાઈ શામજીભાઈ ગાંભવાની સુપુત્રી ચિ.જલ્પાબેન અને ચિ. અપેક્ષાબેનના વિવાહ પ્રસંગમાં ગાંભવા પરિવાર દ્વારા આપણા રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ (26મી જાન્યુઆરી)ની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખારચિયા ગામ નિવાસી રમેશભાઈ છગનભાઈ અંદોદરીયા પોતાના સુપુત્ર ચિ. જય ની જાન લઈ પધારેલ હતી. તેમજ લખતર નિવાસી અમૃતભાઈ કલાભાઈ બોડા પોતાના સુપુત્ર ચિ. કુલદીપની જાન લઈ પધારેલ હતી. સરકારના આદેશ મુજબ અને કોરોના ગાઈડ લાઈન પ્રમાણે ત્રણેય પરિવારે ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં વિવાહ ઉત્સવની સાથે સાથે દેશભક્તિનાં રંગે રંગાઈને, રાષ્ટ્રગીત અને દેશભક્તિના નારા લગાવીને 73 પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.

વિવાહ ઉત્સવની સાથે દેશભક્તિના પર્વની ઉજવણી કરીને ત્રણેય પરિવારે સમાજને એક નૂતન માર્ગ નિર્દેશ કર્યો હતો. પ્રસંગમાં હાજર તમામ જાનૈયા અને માંડવા પક્ષના લોકો પણ દેશભક્તિના રંગે રંગાઈને આ એક અનોખા વિવાહ ઉત્સવમાં જોડાઈને બંને નવ વિવાહિત યુગલને આશીર્વાદ અને વિવાહની શુભકામનાઓ પાઠવી હતી.





