ગઢશીશા વાડીવિસ્તારમાં વીજ પુરવઠો રાત્રે મળતાં ખેડૂતોમાં નારાજગી…
ગઢશીશા પંથકના વાડીવિસ્તારમાં વીજ પુરવઠાના સમયમાં ફેરફાર થતાં ખેડૂતો નારાજ બન્યા છે. હાલમાં જ્યારે કડકડતી ઠંડી ચાલી રહી છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી ગઢશીશા પંથકના વાડી વિસ્તારમાં અપાતા થ્રી-ફેઈઝ વીજપુરવઠા વિતરણમાં અચાનક ફેરફાર કરાતાં ખેડૂતોને કડકડતી ઠંડીમાં રાત્રે ઉજાગરા કરી ભારે ઠંડી વચ્ચે પાણીમાં ઊભા રહી પિયત કરવી પડે છે તેવી ફરિયાદ કરાઈ હતી.
મોટી મઉંના ખેડૂત અગ્રણી બટુકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પહેલાં રાત્રે 9થી 5 એક સપ્તાહ, બીજા સપ્તાહમાં 5 થી 9 અને ત્રીજા સપ્તાહમાં રાત્રે 9થી 5 એમ વીજપુરવઠો મળે છે, પરંતુ હાલમાં આમાં ફેરફાર કરી સપ્તાહમાં બે જ સ્લેબ કરી રાત્રિના ભાગમાં વીજપુરવઠો અપાતો હોવાથી ખેડૂતોને કડકડતી ઠંડીમાં રાત્રે ઉજાગરા કરવા પડે છે. આ અંગે સ્થાનિક કચેરીએ રજૂઆત કરાતાં આ સ્લેબ સૌરાષ્ટ્રની વડી કચેરીથી નક્કી થયા હોવાનું જાણવા મળતાં ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. થ્રી ફેઈઝમાં વીજળી અગાઉની જેમ ત્રણ સ્લેબમાં અપાય તો મહિનામાં એક જ વખત રાત્રિનો વારો આવે તેવી માંગ કરાઈ હતી.





